ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપના ઝટકા આવ્યા જેમાં 30થી વધારે લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ભારતના પડોશી દેશમાં આફત
ભૂકંપના કારણે ધરતી ધણધણી
30થી વધારે લોકોના મોત
કુદરતી આફત... આખા વિશ્વમાં જાણે કુદરતે રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ક્યાંક ક્લાઇમેટ ચેન્જના કારણે પરિસ્થિતિ ભયાવહ થઈ રહી છે તો ક્યાંક ધરતીકંપ. દુકાળ, અતિવૃષ્ટિ જેવી આફતો દુનિયાના અનેક દેશોમાં છે અને કોરોના જેવી મહામારી તો ખરી જ. એવામાં ભારતના પડોશી દેશ ચીનમાં ભૂકંપના કારણે તારાજી સર્જાઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
6.8 રહી તીવ્રતા
ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપના ઝટકા આવ્યા જેમાં 30થી વધારે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ એજ પ્રાંત છે જે કોરોના વાયરસ મહામારીથી ગ્રસિત છે અને ઐતિહાસિક દુકાળની સમસ્યાથી પણ પીડાઈ રહ્યો છે. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટીથી 39 કિમી દૂર સ્થિતિ હતું અને તેના ઝટકા આશરે 200 કિમી દૂર સુધી પણ આવ્યા હતા.
સત્તાવાર આંકડા અનુસાર 30થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 30 જેટલા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત પણ છે. ચીનના સોશ્યલ પ્લેટફોર્મ પર વિવિધ તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ભારતીય દૂતાવાસ તરફથી પણ ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે જેમાં કહેવાયું છે કે સિચુઆનમાં ચીનમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના પરિજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ તથા ઘાયલો જલ્દી સાજા થાય તેવી કામના.
2008માં થયા હતા 69000 લોકોના મોત
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મામલે ઝડપી કાર્યવાહીના આદેશ આપ્યા છે અને લોકોના જીવને બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે તેવું કહેવાયું છે. નોંધનીય છે કે આ જ પ્રાંત વર્ષ 2008માં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 69000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.