જો તમે પણ બિઝનેસ શરૂ કરી દર મહિને તગડી આવક કમાવવા ઈચ્છો છો તો આ તમારા માટે કામના સમાચાર છે. આજે અમે તમને કડકનાથ મરઘીના વ્યાપાર અંગે જણાવીશું.
શું તમારે સારી કમાણી કરવી છે?, તો શરૂ કરો આ બિઝનેસ
કરો કડકનાથ મરઘીનો વેપાર, બે રાજ્યોમાં સરકાર કરે છે મદદ
કડકનાથ મરઘીને મળ્યું છે જીઆઈ ટેગ
કડકનાથ મરઘીનું માંસ આરોગ્ય માટે સારું
આ કાળી મરઘી વિશ્વભરમાં પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે. જેનો સૌથી વધુ વ્યાપાર મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં મરઘીને કાલીમાસી કહેવામાં આવે છે. આ મરઘી આખી કાળી હોય છે. જેનું માંસ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. પોતાના ઔષધીય ગુણોને પગલે કડકનાથ મરઘીની ખૂબ માંગ રહે છે. એવામાં તેના વેપારથી સારી આવક થાય છે.
કડકનાથ મરઘીને મળ્યું છે જીઆઈ ટેગ
કડકનાથ મરઘીનો વેપાર હવે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સાથે જ દેશના ઘણાં રાજ્યોમાં થઇ રહ્યો છે. જેનાથી થતી કમાણીનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમય પ્રમાણે મરઘીના બચ્ચાઓને આપવામાં અસમર્થ છે. કડકનાથ મરઘીની ઉત્પત્તિ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં થઇ છે. જેને પગલે મધ્ય પ્રદેશના કડકનાથ મરઘીને જીઆઈ ટેગ પણ મળેલુ છે. આ ટેગનો અર્થ થાય છે કે કડકનાથ મરઘી જેવી બીજી કોઈ મરઘી નથી.
કેમ મોંઘી વેચાય છે કડકનાથ મરઘી?
કડકનાથ મરઘી અને મરઘીનો રંગ કાળો, માંસ કાળુ અને લોહી પણ કાળુ હોય છે. આ મરઘીના માંસમાં આયરન અને પ્રોટીન સૌથી વધારે હોય છે. તેના માંસમાં વસા અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ હોય છે. જેને પગલે હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓ માટે તેનુ ચિકન અસરકારક છે. જેના સેવનથી શરીરને સારા પોષક તત્વો મળે છે. મરઘીના માંસ અને તેના ફાયદાને જોઈને સરકાર પણ તેનો વેપાર શરૂ કરાવવામાં દરેક સ્તરે મદદ કરે છે.
સરકાર કેવીરીતે મદદ કરે છે?
કડકનાથ મરઘીના પાલનને પ્રોત્સાહન આપવા માટે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. છત્તીસગઢમાં ફક્ત 53,000 રૂપિયા જમા કરતા સરકાર તરફથી ત્રણ તબક્કામાં 1000 મરઘીના બચ્ચા, 30 મરઘીઓના શેડ અને છ મહિના સુધી મફત દાણા આપવામાં આવે છે. બીજી તરફ રસીકરણ અને સ્વાસ્થ્યની સારસંભાળની જવાબદારી પણ સરકાર ઉપાડે છે. મરઘી મોટી થતાં તેનું માર્કેટીંગ કામ પણ સરકાર જ કરે છે. મધ્ય પ્રદેશ સરકાર મરઘીના પાલન માટે યોજનાઓ ચલાવી રહી છે.
કેવીરીતે શરૂ કરો આ મરઘીનો વેપાર?
કડકનાથ મરઘીનું પાલન કરવા માંગો છો તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી બચ્ચા લઇ શકો છો. કેટલાંક ખેડૂત 15 દિવસના બચ્ચા લઇ જાય છે. જ્યારે કેટલાંક લોકો એક દિવસનુ બચ્ચુ લઇ જાય છે. કડકનાથના બચ્ચા સાડા ત્રણથી ચાર મહિનાની અંદર વેચાણ માટે તૈયાર થઇ જાય છે. કડકનાથ મરઘીના બચ્ચાનો ભાવ 70-100 રૂપિયાની વચ્ચે છે. તેના એક ઈંડાનો ભાવ 20-30 રૂપિયા સુધી હોય છે.