શહેરમાં ચાલતા હુક્કાબાર બંધ થતાં હવે અમદાવાદના યંગસ્ટર આરોગ્ય માટે અત્યંત હાનિકારક ઇ-સિગારેટના રવાડે ચઢ્યાં છે, જેના પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. હુક્કાબાર બંધ થયા બાદ હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં ઇ-સિગારેટની બોલબાલા વધી છે.
શહેરના અનેક પાનપાર્લર પર પ૦૦ રૂપિયાથી લઇ ત્રણ હજાર રૂપિયા સુધીની ઇ-સિગારેટનું ધૂમ વેચાણ થાય છે, જે આજે યંગસ્ટરની પહેલી પસંદ છે. ઇ-સિગારેટમાં હુક્કાની અલગ અલગ ફ્લેવરનો ઉપયોગ થઈ શકતો હોવાથી તેને પેન હુક્કો પણ કહેવામાં આવે છે.
રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે ડ્રગ્સ, માદક પદાર્થોનું વેચાણ-સંગ્રહ કરનાર વિરુદ્ધમાં પોલીસે લાલ આંખ કરી છે. નશો કરવા માટે યંગસ્ટર અનેક ટેકિનકનો ઉપયોગ કરે છે, જેના કારણે તેઓ બરબાદીના રસ્તા પર પહોંચી જાય છે. શહેરમાં ઠેર ઠેર ખૂલેલા હુક્કાબાર ઉપર પોલીસે રોક લગાવીને બંધ કરાવી દીધા છે. હુક્કાબાર બંધ થતાં હવે યંગસ્ટરે ઇ-સિગારેટનો નવો ઓપ્શન શોધી લીધો છે, જે હુક્કાની મજા આપે છે. છેલ્લા ઘણા સમયથી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે.
ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે જેમાં રહેલા પ્રવાહીને તે એરોસોલમાં પરિવિર્તત કરે છે કે જેને પીનાર યુવક કે યુવતી શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન ફલેવિરંગ્સ અને અન્ય રસાયણ હોય છે. રિસર્ચ ઉપરથી એ સાબિત થયું છે કે ઇ-સિગારેટના એરોસોલમાં ઘણાં હાનિકારક તત્ત્વો ઉપરાંત ડાયાસીટીલ નામનું રસાયણ કે જે ફેફસાંના રોગો માટે જવાબદાર હોય છે તેમજ તેમાં સીસા જેવી ધાતુઓ અને કેન્સરમાં પરિણમે તેવાંં રસાયણ હોય છે.
ઇ-સિગારેટના ઉત્પાદકો એવા દાવો કરતા હોય છે કે ઇ-સિગારેટમાં નિકોટીન હોતું નથી, પરંતુ ઇ-સિગારેટમાં પણ નિકોટીનની હાજરી જોવા મળેલ છે, ઇ-સિગારેટ વિકસતાં બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે અને આવાં બાળકોને તેની લત પડી જાય છે અને તેથી બાળકો તથા ૨૦ વર્ષની આજુબાજુની ઉંમરના યુવાન છોકરાઓને મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે.
જ્યારે કોઇ વ્યક્તિ ઇ-સિગારેટનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની સાથે ઊભેલી વ્યક્તિ પણ ઇ-સિગારેટમાં રહેલ એરોસોલ અને અન્ય રસાયણનો પણ ભોગ બને છે. ઇ-સિગારેટ પીવાનો આજકાલનાં યુવકોમાં એક પ્રકારનો શોખ પેદા થયો છે, જે એક ચિંતાનું કારણ છે.
હાલમાં ભારતનાં ૧ર રાજ્ય સહિત વિશ્વના ૩૬ દેશમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇ-સિગારેટમાં બે પ્રકારની આવે છે, જે બજારમાં આસાનીથી વેચાય છે. એક યુઝ એન્ડ થ્રો કે જેમાં જ્યાં સુધી ફ્લેવર હોય ત્યાં સુધી તે ઉપયોગી બને છે અને ત્યારબાદ તેને નાખી દેવામાં આવે છે.
યુઝ એન્ડ થ્રોવાળી ઇ-સિગારેટ પ૦૦ રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી વેચાય છે, જેમાં ફ્લેવર બદલી શકાતી નથી. વારંવાર યુઝ કરી શકાય તેવી જ્યારે ઇ-સિગારેટ છે, માર્કેટમાં બે હજારથી ત્રણ હજાર સુધીમાં વેચાય છે. મુંબઇ અને દિલ્હીથી આ ઇ-સિગારેટનો જથ્થો અમદાવાદના હોલસેલર પાસે આવે છે અને પછી તે પાન શોપમાં પહોંચે છે. આ ઉપરાંત ઇ-કોમર્સ વેબસાઇટ પરથી પણ અનેક પ્રકારની ઇ-સિગારેટ ઓનલાઇન ખરીદી શકાય છે.
આ મામલે જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અમિત વિશ્વકર્માએ જણાવ્યું છે કે, હજુ સુધી પોલીસને આ મામલે કોઈ સૂચના નથી. સરકાર તરફથી સૂચના મળે કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, ઇ-સિગારેટ તેમાં વપરાતા હાનિકારક કેમિકલ્સ અને નિકોટીનનાં કારણે તો જોખમી છે જ પરંતુ તે બેટરીથી ચાલતી હોવાથી તે ફાટી શકે છે જેનાથી ગંભીર ઈજા થવ ઉપરાંત જીવનું પણ જોખમ રહે છે.