સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અશ્વિનિકુમાર રોડ ઉપર આજે અચાનક વરસાદના સમયે ગટરમાંથી લાલ કલરનું પાણી બહાર આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતું. જો કે આસપાસમાં આવેલી 10 જેટલી ડાઇંગ મિલમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું હોવાની વાત સ્થાનિક કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવી હતી. આ મામલે 4 વર્ષથી રજૂઆત કરતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
સુરતના અશ્વિનીકુમાર રોડ ઉપર વરસાદના સમયે ગટરમાંથી લાલ કલરનું પાણી બહાર આવે છે. આ પાણી સુરતના અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા 10 જેટલા ડાઇંગ હાઉસોમાંથી ગટરમાં છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
આ વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલો કલર અને કેમિકલ યુક્ત પાણી કોઇપણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર સીધુ મનપાની ગટરોમાં છોડી દે છે. આ પાણી ગટરમાં છોડવામાં આવી રહ્યું છે તેને કારણે લોકોના ઘર સુધી આ પાણી જાય છે અને લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થઇ રહ્યું છે.
છેલ્લા 4 વર્ષથી આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર દ્વારા મનપા અને જીપીસીબીને ફરિયાદો કરવામાં આવી છે પરંતુ બન્ને ના અધિકારીઓ એક મેકને ખો આપી રહ્યા છે જેને કારણે આમ જનતા પરેશાન છે.