મહેસાણાની દૂધસાગર ડેરી મામલે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મહેસાણા દૂધ સાગર ડેરીનો વહીવટ અને ઓછા ભાવના કારણે દેવું થયું છે. જનરલ મિટીંગ કરીને સરકાર સામે જે આક્ષેપ કર્યા હતા.
આ મામલે નીતિન પટેલે જણાવ્યું કે અમૂલ ફેડરેશન વિરુદ્ધ સરકાર કોઈ જ પ્રકારનો ભાગ ભજવતી નથી. સરકાર સહકારી માળખાને મદદ કરે છે. જોકે હવે આ રાજકીય મુદ્દો બન્યો છે. સરકાર વિરુદ્ધ જે કંઈપણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે.
મહેસાણાની દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેન મોગજી ચૌધરીએ પૈસાની જરૂર હોવા સમયે સરકારે મદદ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ નીતિન પટેલે જણાવ્યું કે એ મારી પાસે આવ્યા હતા. આર.એસ. સોઢીને કહીને 100 કરોડની મદદ કરવામાં આવી હતી. જો હું ખોટો હોઉં તો નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ.
જોકે આજે GCMMFના એમ.જી. આર.એસ. સોઢીએ પત્રકાર પરિષદ કરીને દૂધ સાગર ડેરીના સંચાલન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મોટા ખર્ચાઓ કરવાથી ડેરીને નુકસાન થયું છે. 100 કરોડની વાત છે તો તે રૂપિયા ડેરીને ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે અહીં સવાલ એ છે કે આ મામલે સાચું કોણ છે?
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આક્ષેપ
મહેસાણા દૂધસાગર ડેરી વિરુદ્ધ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.ડી.દ્વારા કરાયેલા આક્ષેપને મહેસાણા ડેરીએ પાયાવિહોણા ગણાવ્યા છે. દૂધસાગર ડેરીના એમડી નિશિથ બક્ષીએ કહ્યું કે, 3 વર્ષમાં કોઈ મેજર રોકાણ નથી કર્યું અને ડેરીની કુલ સંપત્તિ 1683 કરોડ રૂપિયા છે. તો 1 વર્ષમાં 1600 કરોડના રોકાણની વાત કેવી રીતે આવી.