રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કરજણ પેટાચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી પ્રચાર માટે કુરાલી ગામે પહોંચ્યા હતા. આ દરમિયાન DyCM પર જુતુ ફેંકાયું હતું.
DyCM નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ
નીતિન પટેલ પર કુરાલી ગામે ફેકાયુ ચપ્પલ
કુરાલી ગામે જાહેરસભા દરમિયાન બની ઘટના
કુરાલી ગામે જાહેરસભા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જુતુ ફેંકાયું છે. કુરાલી ગામે જાહેરસભાના સંબોધન બાદ તેઓ મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા આ દરમિયાન અજાણી વ્યક્તિ દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. કોણે જૂતું ફેક્યું તે જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ ઘટનાનું VTV સમર્થન નથી કરતું.
મારુ ધ્યાન બાઇટ આપવામાં હતુંઃ DyCM નીતિન પટેલ
આ અંગે નીતિન પટેલે કહ્યું કે, હું મારી બાઇટ આપવામાં વ્યસ્ત હતો, અમારે એક એક શબ્દ તોલી તોલીને બોલવાનો હોય, અર્થનો અનર્થ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય અને કાળજી રાખવાની હોય.
પોલીસ ચપ્પલ ફેંકનાર વ્યક્તિને શોધી રહી છેઃ કરજણ પોલીસ
કરજણ પોલીસ સ્ટેશનના PI એ.એ. દેસાઈએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મીડિયાના માધ્યમથી પોલીસને જાણ થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની હાજરીમાં આ ઘટના બની છે. પોલીસ જવાનોને પણ આ ઘટનાની જાણ નથી થઈ. પોલીસ ચપ્પલ ફેંકનાર વ્યક્તિને શોધી રહી છે.
DyCM નીતિન પટેલ પર જુતુ ફેંકવાની ઘટનાને કોંગ્રેસે વખોડી
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઘટના અંગે કહ્યું કે, લોકશાહીમાં વિરોધની આ પદ્ધતિ યોગ્ય નહીં. જનતાનો રોષ છે પરંતુ વિરોધની આ રીત ક્યારેય ના હોઈ શકે. જે સ્થળે જુતુ ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. બધા જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર હોવા છતાં કોંગ્રેસ પર દોષારોપણ કેમ ? રાહુલ ગાંધી પર ગુજરાતમાં પથ્થર ફેંકાયો ત્યારે ભાજપે તેને વખોડી હોત તો આવું ના થાત. જનતાનો છૂપો રોષ આવી રીતે વ્યક્ત થઇ રહ્યો છે.