નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કરજણના કુરાલી ગામે જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર જૂતું ફેકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, સ્થાનિક પોલીસ અને કોંગ્રેસે નિવેદન આપ્યા હતા.
કુરાલી ગામે જાહેરસભા દરમિયાન નીતિન પટેલ પર જુતુ ફેંકાયું
કોઈને કાંકરીચાળો કામ નહીં આવેઃ નીતિન પટેલ
જેણે આવુ કર્યુ તેની અમે ધરપકડ કરીશુંઃ પ્રદીપસિંહ
કુરાલી ગામે પોલીસની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે કોણે આ ચપ્પલ ફેક્યું તે જાણવા નથી મળ્યું, આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાના પગલે કોંગ્રેસે કહ્યું કે, જે સ્થળે જુતુ ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. જ્યારે આ મામલે નીતિન પટેલે કહ્યું કે, આ બધું કરવાથી કંઈ નહીં થાય, આ કૃત્ય વિરોધીઓનું જ છે.
જૂતું ફેકાવા મુદ્દે નીતિન પટેલનુ નિવેદન
નીતિન પટેલ પર જૂતું ફેકાવાનો મામલે DyCMએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મોટી સંખ્યા કોઈ વિરોધીઓને ન ગમી હોય. પાછળથી કોઈએ વસ્તુ નાખી હતી. કોઈને કાંકરીચાળો કામ નહીં આવે. અમે આઠેય બેઠકો જીતવાના છીએ. આ વિરોધીઓનું જ કૃત્ય છે. આ અગાઉ નીતિન પટેલે કહ્યું કે, હું મારી બાઇટ આપવામાં વ્યસ્ત હતો, અમારે એક એક શબ્દ તોલી તોલીને બોલવાનો હોય, અર્થનો અનર્થ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય અને કાળજી રાખવાની હોય. જેથી કોણે ચપ્પલ ફેંક્યું તેના પર મારૂં ધ્યાન ન હતું.
જૂતું ફેકાવા મુદ્દે પ્રદીપસિંહ જાડેજાનુ નિવેદન
નીતિન પટેલ પર જૂતું ફેકાવાનો મામલે પ્રદીપસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું. પ્રદીપસિંહે કહ્યું કે, મેં SP અને જિલ્લા રેન્જ IGને સૂચના આપી છે. કોના ઈશારે કાંકરીચાળો થયો ? જેણે આવુ કર્યુ તેને પ્રજા માફ નહીં કરે. જેણે આવુ કર્યુ તેની અમે ધરપકડ કરીશું. ફરીથી આવુ થશે તો સખ્તાઈથી પગલા ભરીશું.
બધા જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર હોવા છતાં કોંગ્રેસ પર દોષારોપણ કેમ?: કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઘટના અંગે કહ્યું કે, લોકશાહીમાં વિરોધની આ પદ્ધતિ યોગ્ય નહીં. જનતાનો રોષ છે પરંતુ વિરોધની આ રીત ક્યારેય ના હોઈ શકે. જે સ્થળે જુતુ ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. બધા જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર હોવા છતાં કોંગ્રેસ પર દોષારોપણ કેમ ? રાહુલ ગાંધી પર ગુજરાતમાં પથ્થર ફેંકાયો ત્યારે ભાજપે તેને વખોડી હોત તો આવું ના થાત. જનતાનો છૂપો રોષ આવી રીતે વ્યક્ત થઇ રહ્યો છે.
જયરાજસિંહે કહ્યું કે, નીતિન પટેલ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે, પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ? આવી સાદી સમજણ પણ પડતી નથી ? કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી.
પોલીસ ચપ્પલ ફેંકનાર વ્યક્તિને શોધી રહી છેઃ કરજણ પોલીસ
કરજણ પોલીસ સ્ટેશનના PI એ.એ. દેસાઈએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મીડિયાના માધ્યમથી પોલીસને જાણ થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની હાજરીમાં આ ઘટના બની છે. પોલીસ જવાનોને પણ આ ઘટનાની જાણ નથી થઈ. પોલીસ ચપ્પલ ફેંકનાર વ્યક્તિને શોધી રહી છે.