આજે વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આપેલા 'હું એકલો છું' વાળા નિવેદનને લઇને મામલો ગરમાયો છે. ત્યારે કોંગ્રેસે નિતીન પટેલને આ મામલે CM બનો તો કોંગ્રેસ તમારી સાથે તેવી હળવી મજાક કરી હતી. તો આ તરફ જીગ્નેશ મેવાણીએ પણ નીતિન પટેલને વિપક્ષમાં આવી જવાની વાત કરી હતી.
નીતિન પટેલની 'હું એકલા'નો મુદ્દો ગૃહમાં ગુજ્યો
કોંગ્રેસે કહ્યું નીતિનભાઇ તમે એકલા નથી
જીગ્નેશ મેવાણીએ શાયરાના અંદાજમાં આપ્યું નિવેદન
જીગ્નેશ મેવાણીએ શાયરાના અંદાજમાં નીતિન પટેલની સ્થિતિ વર્ણવી હતી. મેવાણીએ કહ્યું કે, આંશુઓની ધાર કરતા પણ સ્થિતિ આ તેજ છે, આંખમાં વરસાદ નહીં પાંપણો પર ભેજ છે..!. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, નીતિન પટેલ સત્તાધારી પક્ષ છોડી વિપક્ષમાં આવી જાવો, આપણે બંન્ને ઉત્તર ગુજરાતના છીએ, વિપક્ષમાં એકલા પડવા નહીં દઉં.
શું કહ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ ?
છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી અવગણાને લઈને ઉમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતુ કે, મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે, પરંતુ સમય આવે હું યાદ આવી જ જાઉ છું. હું જ્યાં છું ત્યાં એમ જ નહીં પહોંચાતું. તમે ટીવીમાં અને છાપામાં જોતા જ હશો કે એકબાજુ બધા અને એકબાજુ હું એકલો... નીતિન પટેલે આ રીતે હળવી ટીખળ કરતા આ નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.
નાયબ મુખ્યમંત્રીના નિવેદનને પગલે તર્ક વિતર્ક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ નિવેદન બાદ ફરી એકવાર તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. અને અગાઉ પણ નિતીનભાઈ આવા નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યાં છે પરંતુ હવે જોવાનું તે રહેશે કે નિતીનભાઈનો આ વખતે કોના તરફ ઈશારો જઈ રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અનેક ધારાસભ્યો હાજર હતાં.