ભારતમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે 1 માર્ચથી બીજા તબક્કાનું કોરોના રસીકરણનો તબક્કો શરૂ થઇ રહ્યો છે. ત્યારે જાણો ગુજરાતમાં કેવી રીતે અપાશે વેક્સિન...
1 માર્ચ કોરોના વેક્સિન કોને અપાશે? કોરોના વેક્સિન કેટલા રૂપિયામાં મળશે? કોરોના વેક્સિન લેવા માટે કેવી રીતે નોંધણી કરશો? વેક્સિન લેવા માટે કઇ જગ્યાએ જવું પડશે? વેક્સિનનું પેમેન્ટ કેવી રીતે કરવાનું રહેશે? આ અંગે રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે DyCM નીતિન પટેલની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બીજા તબક્કાના રસીકરણ અભિયાન અને વેક્સિનના ભાવ અંગે માહિતી આપી હતી.
1. 1 માર્ચ કોરોના વેક્સિન કોને અપાશે?
નાયબ મુખ્મયમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 1 માર્ચથી શરૂ થતા બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન અપાશે. 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગથી અસરગ્રસ્ત દર્દીઓને પણ વેક્સીન આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. (હૃદય, ડાયાબીટીસ, કિડની, કેન્સર, સિકલસેલ ધરાવતા દર્દીઓને કોરોનાની રસી મળશે. બોનમેરો, થેલેસેમિયા, HIVગ્રસ્તને પણ કોરોનાની રસી મળશે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે)
2. કોરોના વેક્સિન કેટલા રૂપિયામાં મળશે?
સરકારી હોસ્પિટલ: વેક્સિનના ભાવ અંગે નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની હોસ્પિટલમાં રસી આપવામાં આવશે. જેમાં સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ ચુકવવાનો નથી. ભારત સરકાર તરફથી વેક્સિન વિના મુલ્ય અપાઇ છે. એજ પ્રમાણે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેક્સિન અપાશે. એટલે સરકારી હોસ્પિટલમાં વેક્સિન લેવા જનારા લોકોએ કોઇપણ રૂપિયા ચૂકવવાના નથી.
ખાનગી હોસ્પિટલ: નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે સગવડ ઉપલબ્ધ કરાવી છે. જેમાં નાગરિકો પોતાની નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલો જે ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હોય. તેમાં વેક્સિન લેવા જાય તો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કિંમત નક્કી કરવામાં આવી છે જેમાં સરકાર માન્ય હોસ્પિટલમાં જે વ્યક્તિ વેક્સિન લેશે તો તેને વહિવટ ખર્ચ પેટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે અને વેક્સિનની કિંમત પેટે 150 રૂપિયાનો ખર્ચ ચૂકવવાનો રહેશે. આમ, ખાનગી હોસ્પિટલમાં કુલ 250 રૂપિયા ચુકવવાના રહેશે. 1 મહિના બાદ બીજા ડોઝ સમયે પણ 250 રૂપિયા ચુકવવાના રહેશે. આમ, વેક્સિનના 2 ડોઝના 500 રૂપિયા ચુકવવાના રહેશે. જો કે સરકારી હોસ્પિટલમાં વેક્સિન માટે કોઇ ચાર્જ નહીં આપવો પડે.
3. વેક્સિન લેવા માટે કઇ જગ્યાએ જવું પડશે?
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, આ વેક્સિન ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પટિલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજો, સરકારી હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં આપવામાં આવશે. કુલ 2050 સરકારી હોસ્પિટલોમાં વેક્સિન આપવામાં આવશે.
4. કોરોના વેક્સિન લેવા માટે કેવી રીતે નોંધણી કરશો?
ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર કોઈએ રસી લેવી હોય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડશે આ માટે https://preprod.co-vin.in/home અહીં રજિસ્ટ્રેશન કરી શકશો.
5. વેક્સિનનું પેમેન્ટ કેવી રીતે કરવાનું રહેશે?
એક મોબાઈલથી ચાર લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ જેવા પુરાવા જોઈશે. સરકારી રસીકરણ કેન્દ્રમાં કોવિડ-19ની રસી મફત મળશે. કોઇપણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા જાય છે તો તેને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે. વેક્સિનના 2 ડોઝના 500 રૂપિયા ચુકવવાના રહેશે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, જે વેક્સિન બીજા દેશોમાં હજારો રૂપિયામાં આપવામાં આવે છે. તેની સરખામણીમાં ભારત સરકાર દ્વારા પીએમ મોદીએ માનવતા ભર્યો અભિગમ અપનાવ્યો છે. સામાન્ય નાગરિકોને પોસાય તે માટે બે પદ્ધતિથી વેક્સિન આપવાનો નિર્ણય કર્યા છે. તમામ ગુજરાતના નાગરિકોને ખુબ ઉપયોગની નિર્ણય છે. નાગરિકોને નજીકમાં વેક્સિન પ્રાપ્ત કરીને આપવામાં આવશે.
સરકાર દ્વારા કોરોના વેક્સિનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ કોરોના વેક્સિન પ્રાઈવેટમાં 250 રૂપિયાના ચાર્જથી આપવામાં આવશે તથા સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેને લઈને ડોક્ટરની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ડોક્ટર પણ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. ડોકટર ખાનગીમાં 250 રૂપિયાના ચાર્જને પણ વ્યાજબી બતાવી રહ્યા છે.
ભારતમાં એક દિવસમાં 8 લાખથી વધુને વેક્સિન અપાઇ
ભારતમાં વેક્સિનેશન અભિયાનમાં ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે ભારતમાં એક દિવસમાં 8 લાખથી વધુને વેક્સિન અપાઇ છે. વેક્સિનેશનના 41માં દિવસે 1.35 કરોડ વેક્સિનના ડોઝ અપાયા છે. 25 ફેબ્રુઆરીએ કુલ 14 હજાર 600 સેશન્સમાં 8.01 લાખ વેક્સિન અપાઇ હતી. 8.01 લાખ વેક્સિનમાંથી 3.84 લાખને પ્રથમ ડોઝ અને 4.16 લાખને બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં 1.35 કરોડ વેક્સિનમાંથી 1.14 કરોડ પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. 20.32 લાખ હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ અપાયો છે. પ્રથમ ફેજમાં 16 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સનું વેક્સિનેશન શરૂ થયું હતું. 9 રાજ્યમાં 60 ટકાથી ઓછા હેલ્થકેર વર્કર્સને વેક્સિન લગાવાઇ છે. અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા, લદ્દાખમાં 60 ટકાથી ઓછા હેલ્થકેર વર્કર્સે વેક્સિન લીધી. ચંદીગઢ, નાગાલેન્ડ, પંજાબ, પુડુચેરીમાં પણ 60 ટકાથી ઓછા હેલ્થકેર વર્કર્સે વેક્સિન લીધી. 13 રાજ્યોમાં 40 ટકાથી ઓછા ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન લગાવાઇ. ચંદીગઢ, નાગાલેન્ડ, તેલંગાણા, મિઝોરામ, પંજાબમાં 40 ટકાથી ઓછા ફ્રન્ટલાઇન વર્કર્સે વેક્સિન લગાવી. ગોવા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, મણિપુર, આસામમાં પણ 40 ટકાથી ઓછા ફ્રન્ટલાઇન વર્કર્સે વેક્સિન લગાવી. અંડમાન-નિકોબાર, મેઘાલય અને પુડુચેરીમાં પણ 40 ટકાથી ઓછા ફ્રન્ટલાઇન વર્કર્સે વેક્સિન લગાવી.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ?
26 ફેબ્રુઆરીના આંકડાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે 24 કલાકમાં રાજ્યમાં 460 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. તો 315 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા હતા. હાલ રાજ્યમાં 2 હજાર 136 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4 હજાર 408 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખ 62 હજાર 487 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી 8 લાખ 20 હજાર 700 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો ચૂક્યો છે. જ્યારે 1 લાખ 65 હજાર 538 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.