રાજ્યમાં મેડીકલ પ્રવેશ પ્રક્રિયાને લઇને રાજ્ય સરકાર દ્વારા ડોમિસાઇલ સર્ટીને લઇને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથિક, નેચરોપેથીની બેઠકો માટેની જાહેરાત કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મેડિકલ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, એડમિશન કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં જન્મ્યા હોય તેવા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટી રજૂ નહીં કરવાનું રહે. ધોરણ 10-12 ગુજરાતમાં પાસ કરેલુ ફરજિયાત રહેશે. ગુજરાતના વિદ્યાર્થીઓની સરળતા માટે નિયમ બદલાયો છે. જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાત બહાર થયો હશે તેમને ડોમિસાઇલ સર્ટી રજૂ કરવું પડશે.
નીતિન પટેલે કહ્યું કે, MBBSની 4650 બેઠકો પર પ્રવેશ અપાશે, ડેન્ટલ કોલેજમાં 1115 બેઠક પર પ્રવેશ અપાશે, ગુજરાતના અંદાજે 10 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે.
ક્યા કોર્ષમાં કેટલી સીટ માટે પ્રવેશ ?
મેડિકલ 6150
ડેન્ટલ 1155
આયુર્વેદ 1720
હોમિયોપેથિક 3380
નેચરોપેથી 30
વધુમાં તેમણે કહ્યું કે, MBBS, BDSમાં NEETના આધારે પ્રવેશ અપાશે. પ્રવેશ માટે પિન આપવાનો કાર્યક્રમ નક્કી કર્યા છે. 17 જૂનથી 23 જૂન દરમિયાન ફોર્મ ભરી અને પિન મેળવી શકશે. પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી કરવાની રહશે. મેરીટ પ્રમાણે જુદી જુદી કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. MBBSમાં પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી છે.
તેમણે કહ્યું કે, ગયા વર્ષે ડોમિસાઇલનો કાયદો લાવવામાં આવ્યો હતો. ગયા વર્ષો ડોમિસાઇલના સર્ટી મેળવવામાં અનેક સમસ્યાઓ પડી હતી. એક્સિસ બેંકની શાખામાંથી પીન નંબર મેળવવાનો રહેશે.
ગુજરાત પડોસમાં આવેલ દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આ વખતે ભારત સરકાર તરફથી સેલવાસા ખાતે 150 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે 150 બેઠકની મેડિકલ કોલેજ શરૂ થઈ છે. સંઘ પ્રદેશમાં 10 બેઠક ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે. દાદરા નગર હવેલીની નવી બનેલી કોલેજમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓને બેઠક મળશે.