રાજ્યના તમામ મેડિકલ કોલેજના ડીન સાથે રાજ્ય સરકારની બેઠક યોજાઇ હતી. ત્યારે આ 6 સરકારી મેડિકલ કોલેજોના ડીન સાથે બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોરોના વેક્સિન, હોસ્પિટલ અને મેડિકલ વિદ્યાર્થીઓને લઇને નિવેદન આપ્યું હતું.
DyCMએ કહ્યું કે, NEETના આધારે મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે. પ્રથમ વર્ષના મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ ચર્ચા થઈ. 6 સરકારી મેડિકલ કોલેજના ડીન સાથે બેઠક થઈ હતી. 6500 વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાયો છે.
અમદાવાદમાં સિવિલમાં હવે સાંજની ઓપીડી શરૂ કરાશે
DyCMએ કહ્યું કે, બીજા રોગના દર્દીઓની સારવાર માટે અમદાવાદમાં સિવિલમાં હવે સાંજની OPD શરૂ કરાશે. અત્યાર સુધી સવારે 8થી 2 વાગ્યા સુધી OPD ચાલુ હતી.
વેક્સિન ટ્રાયલમાં એકપણ સમસ્યા આવી નથી
DyCMએ કહ્યું કે, દીવાળી બાદ કોરોનાના કેસ ઘટ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓમાં ઘટાડો થયો છે. સિવિલમાં હાલ સારી કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે. કોવિડ હોસ્પિટલોમાં 84% બેડ ખાલી છે. સંક્રમણ ઘટાડવા પગલા લેવાય રહ્યા છે. કોરોના પર નિયંત્રણ મેળવવા આગળ વધી રહ્યા છે. જેમને વેક્સિન અપાઈ છે તેમને કોઈ આડઅસર દેખાઈ નથી. વેક્સિન ટ્રાયલમાં એકપણ સમસ્યા આવી નથી.
MBBS ઈન્ટર્નના આંદોલન પર નીતિન પટેલનું નિવેદન
DyCMએ કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં સ્ટાઈપેન્ડ વધારવા આંદોલન યોગ્ય નહીં. વિદ્યાર્થીઓ બિનશરતી રીતે હડતાલ પાછી ખેંચે. આંદોલનકારી વિદ્યાર્થીઓને ગેરહાજર ગણવા ડીનને સુચનો કર્યા છે.