જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરાતા નબળી ગુણવત્તાની મગફળી મળી આવી છે. ત્યારે હવે આ મામલે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ અધિકારીઓએ મગફળીમાં ગેરરીતિ થઈ હોવાનું સ્વીકાર્યુ છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી અને દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે.
મગફળીમાં ગેરરીતિ હોવાનુ સામે આવ્યું છે, કાર્યવાહી કરાશેઃ નીતિન પટેલ
કોન્ટ્રાક્ટથી કામ કરતા લોકો મગફળી કાંડ કરે છેઃ સંઘાણી
જવાબદારોને પકડીને જેલ ભેગા કરાશેઃ વાઘાણી
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભેળસેળનું કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે હવે CCTV ચેક કર્યા બાદ ફૂટેજના આધારે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરાશે. સમગ્ર મામલે તપાસ માટે 4 અધિકારીની સમિતીની રચના કરવામાં આવી છે. આજે અધિકારીઓ દ્વારા સીઝ કરવામાં આવેલી 156 બોરીઓમાંથી 5 બોરીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બોરીઓમાંથી નાની-બીબડીવાળી મગફળી મળી આવી હતી. મગફળીમાંથી 65ના બદલે 61.8 ગ્રામ દાણા નિકળ્યા હતા. 100 ગ્રામ મગફળીમાંથી 65 ગ્રામનો ઉતારો હોવો જોઈએ. ત્યારે હવે 61.8 ગ્રામ દાણા નિકળતા તપાસ બાદ કાર્યવાહી કરાશે.
મગફળીમાં ગેરરીતિ હોવાનુ સામે આવ્યું છે, કાર્યવાહી કરાશેઃ નીતિન પટેલ
જૂનાગઢમાં મગફળી કૌભાંડ મુદ્દે નીતિન પટેલે કહ્યું કે, મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે, જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. ગેરરીતિ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.
કોન્ટ્રાક્ટથી કામ કરતા લોકો મગફળી કાંડ કરે છેઃ સંઘાણી
આ મામલે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે કે, કોન્ટ્રાક્ટથી કામ કરતા લોકો મગફળી કાંડ કરે છે. સરકારી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ખરીદી કરવાની સમગ્ર જવાબદારી પુરવઠા નિગમની છે. પુરવઠા નિગમના જવાબદાર અધિકારી સામે પગલા લેવા જોઈએ. સાથે જ તેમણે જણાવ્યુ કે, અગાઉ પણ આ પ્રકારના કૌભાંડ સામે આવ્યા છે અને જવાબદારો છટકી ગયા છે. ગુરૂવારે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરતા મગફળીની બોરીઓમાં ભેળસેળ મળી આવી હતી. અધિકારીઓ દ્વારા તપાસનો નાટક કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ધરણા પર બેઠા હતા. ત્યારબાદ ખેડૂતો દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય જથ્થામાં પણ ભેળસેળ મળી હતી.
જવાબદારોને પકડીને જેલ ભેગા કરાશેઃ વાઘાણી
જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. વાઘાણીએ કહ્યું કે મગફળી કૌભાંડ અંગે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જે પણ જવાબદાર હશે તેને પકડી જેલ ભેગો કરી દેવામાં આવશે.