ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ પ્રેસ કોન્ફરન્સ કરી બિન અનામત વર્ગને લઇને જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે બિન અનામત વર્ગ માટે નિગમ બનાવ્યું છે. શિક્ષણ રોજગારી અને વિદેશમાં શિક્ષણ મામલે સરકાર સહાય આપશે. બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓને લાભ મળશે. 15 ઓગસ્ટથી લાભ મળે તે માટે નીતિ નિયમો મંજૂર કર્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે પણ સરકાર સહાય કરશે.
વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીની કામગીરી અંગે મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. બેઠકમાં કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી. નિગમ તરફથી મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી. આવક મર્યાદા વધારાવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવક વધારા મુદ્દે બેઠકમાં વિચારણા કરવામાં આવી. આવક મર્યાદા વધારીને 4.5 લાખ રૂપિયા કરાઇ છે. અગાઉ આવક મર્યાદા રૂ.3 લાખ હતી.
વિદ્યાર્થીઓ લક્ષી જાહેરાત કરતા જણાવ્યું કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીના પરિવારની આવક મર્યાદમાં વધારો કરાયો છે. વિદેશ અભ્યાસર્થે જતા વિદ્યાર્થીઓના પરિવારની આવક મર્યાદા રૂ.6 લાખ કરાઇ છે. વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થી રૂ.15 લાખની લોન મેળવી શકશે. મેડિકલના અભ્યાસ માટે રાજ્ય બહાર જનાર વિદ્યાર્થીઓને સહાય અપાશે.