હમણા રાજ્યમાં માથે કોઈ ચૂંટણી નથી એટલે રાજકીય ભાષણોનો શોર પણ સંભળાતો નથી. પરંતુ થોડા દિવસોથી રાજ્યના શીર્ષસ્થ નેતાઓ વિવિધ સામાજિક સંગઠનોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જો કે જે તે સમારંભોના આયોજનો કરતાં તેમાં નેતાઓના નિવેદનો વધારે આકર્ષણ જમાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા એક પ્રોપર્ટી શોના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની સ્પીચમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ફટકારી હતી ત્યારે બે દિવસથી ડેપ્યુટી સીએમ નિતિનભાઈ ફટકાબાજી કરીને લોકોની ધ્યાન ખેંચી રહ્યા છે.
રોજ રોજ નવા નિવેદનો
હસતા હસતા નેતાઓ કરી રહ્યા છે પ્રહાર
બે દિવસથી ગુજરાતના રાજકારણીઓના ભાષણની બોલબાલા
હાલ રાજ્યના શિર્ષસ્થ નેતાઓ વિવિધ મંડળો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા વિજયભાઈએ અમદાવાદમાં જીએમડીસી ખાતે 14મા પ્રોપર્ટી શોને ખુલ્લો મુક્યો હતો. પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની આગવી શૈલીમાં અને આગવા અંદાજમાં જે ભાષણ કર્યું તેને સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.
ત્યારે હવે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પણ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળે છે. જો કે આ સમારંભો બિનરાજકીય હોય છે પરંતુ તેમાં નેતાઓના ભાષણો રાજરંગે રંગાયેલા હોય છે. આજે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ તેમણે જે નિવેદન આપ્યું તે નિવેદન અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈએ આપેલા નિવેદનના જવાબ જેવું હતું.
કોઇએ ઉપકાર કર્યો હોય તો યાદ રાખજો
સીએમ વિજયભાઈને ભલે ટ્વેન્ટી- ટ્વેન્ટીના ધોરણે કામગીરી કરવી હોય પરંતુ નીતિભાઈ પટેલ લાંબા કે ટૂંકાગાળામાં કામગીરી કરવામાં માનતા નથી. બસ તેમને મન તો માત્ર જનતાની સેવા એ શોખનો વિષય છે. પરંતુ આવા ઉદારદિલના નેતાને જનતા પ્રત્યે થોડી તો અપેક્ષા હોયને. એટલેજ તો તેમણે એક નિવેદનમાં કહી દીધું કે કોઈએ ઉપકાર કર્યો હોય તો યાદ રાખજો. જો કે નીતિનભાઈએ કરેલો ઉપકાર કોઈ જરૂર ભૂલી ગયું હશે એટલે જો તેમણે જાહેરમાં મંચ પરથી કંઈક આવું કહેવું પડયું.
નીતિનભાઈ પટેલ ખરેખર નિખાલસ વ્યક્તિત્વના સ્વામી છે
નીતિનભાઈ પટેલ ખરેખર નિખાલસ વ્યક્તિત્વના સ્વામી છે અને એટલા જ પારદર્શી પણ છે. ક્યારેક ન પૂછો તો પણ ઘણું કહી દે ક્યારેક ગમે તેટલું પૂછો પણ તમને જવાબ ન મળે? કેમ કે ક્યારે શું બોલવું અને અને મીડિયાના સવાલનો જવાબ કેવી રીતે આડે પાટે ચડાવી દેવો તેઓ બખૂબી જાણે છે..
પોતાના ટીકાખોર કે વિરોધીને જે કહેવુ છે તે કહેવાની તે તેઓ તક ચૂકતા નથી
હાલ રાજ્યાના નેતાઓ વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં વ્યસ્ત છે પરંતુ રાજનેતાઓને સ્ટેજ ગમે તે હોય, સમારંભ ગમે તે હોય પરંતુ પોતાના ટીકાખોર કે વિરોધીને જે કહેવુ છે તે કહેવાની તે તેઓ તક ચૂકતા નથી. કદાચ સામન્યજન અને નેતાઓમાં આ વાતનો ફરક હશે.