અમદાવાદઃ SVPની આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ ન હોવાંની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. ત્યારે આ મામલે ડે.સીએમ નીતિન પટેલે રદિયો આપતાં જણાવ્યું કે 'મારું તમામ જગ્યાઓ પર નામ છે. મારી કોઈ જ નારાજગી નથી અને નામ હોય કે ન હોય તે મહત્વનું નથી.'
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત એવી નવી SVP એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાનાં છે. ત્યારે આ હોસ્પિટલનાં લોકાર્પણની પત્રિકામાં ડે.સીએમ અને આરોગ્ય મંત્રી નિતિન પટેલનું નામ ન છપાતાં કેટલીક ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું હતું.
તમને વધુમાં જણાવી દઇએ કે SVP હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિત મહેમાનની યાદીમાં ગુજરાત રાજ્યનાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા પક્ષનાં પીઢ નેતા આઇ.કે.જાડેજાનું નામ છાપવામાં આવ્યું છે.
બીજી તરફ એવી ચર્ચા જાગી હતી કે નીતિન પટેલનું નામ ભૂલથી છાપવાનું રહી ગયું છે કે પછી જાણી જોઈને છાપવામાં આવ્યું નથી. ત્યારે આ અટકળો વચ્ચે ડે.સીએમ નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે અને વિવિધ કાર્યક્રમોમાં મહેમાન બનવાનાં છે ત્યારે અમદાવાદ ખાતે આકાર પામેલ 1500 બેડ ધરાવતી હોસ્પિટલ SVPનું લોકાર્પણ આજે તેઓ કરવાનાં છે. ત્યારે આ સમારોહની પત્રિકામાં ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ નહીં છપાતાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયાં હતાં.