વિદ્યાર્થીઓના વિરોધની આગળ આખરે ગુજરાત સરકારે ઝુકવું પડ્યું છે. 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધા બાદ હવે સરકારે નવી તારીખ જાહેર કરી છે. બિન સચિવાલયની પરીક્ષાને લઇને ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. આ પરીક્ષા આગામી 17 નવેમ્બરે લેવામાં આવશે. ફોર્મ ભર્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ -12 પાસની લાયકાત યથાવત રાખવામાં આવી છે. જ્યારે ગ્રેજ્યુએશન પણ માન્ય રખાયું છે.
ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરતાં કહ્યું કે ગયા વર્ષે 70 હજાર કરતાં વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવી. જો કે જાહેરાત બહાર પાડ્યા બાદ લોકસભાની ચૂંટણી આવી. લોકસભાની ચૂંટણીના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો.
પરીક્ષાને લઇને ઉમેદવારોની માગણીઓ સરકારે સ્વીકારી છે. ફોર્મ ભર્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. આજે ઉમેદવારો હોલટીકીટ ડાઉનલોડ કરી શકશે. અગાઉ ફાળવેલા કેન્દ્રો પર જ પરીક્ષા લેવાશે.
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આગામી 17 નવેમ્બરના રોજ લેવાશે. જેમાં 3771 બેઠક પર ભરતી કરવામાં આવશે. જ્યારે 3171 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. જેમાં ફોર્મ ભર્યાં છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે 20 ઓક્ટોબરે યોજાનાર પરીક્ષા રદ્દ કરી હતી. આ સાથે જ શૈક્ષણિક લાયકાતમાં પણ ફેરફાર કર્યો હતો. જેના કારણે રાજ્યભરમાં ભારે વિરોધ શરૂ થયો હતો. જેને લઇને ગાંધીનગર સચિવાલય સુધી પ્રદર્શન થયું હતું.