રોહિણી નક્ષત્રમાં રાત્રીના 12 કલાકે ભગવાનનો જન્મ થયો છે. ગુજરાત સહિત દેશ અને વિદેશોમાં પણ કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી
જય નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા
મંદિરોમાં ઘોડાપૂર ઉમટ્યું હતું
રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરા મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે રાત્રે 12 વાગ્યે દ્ધારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભગવાનનો ભવ્ય જન્મોત્સવ ઉજવાયો
દ્વારકામાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને આભૂષણોથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. કૃષ્ણ મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીર્તન કર્યા હતા. વિશેષ પૂજા અને આરતી બાદ ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. શ્રી કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવી ભક્તોએ ભગવાનને રીઝવવા માટે મીશ્રી, માખણના ભોગ સાથે રાસ ગરબા પણ કરવામાં આવ્યા છે.
શામળાજીમાં કાળીયા ઠાકોરનો થયો જન્મ, ભક્તો બન્યા કૃષ્ણમય
અરવલ્લીના શામળાજીમાં રંગેચંગે જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી. વિધિવત પૂજા અર્ચના કરીને ભગવાનના જન્મની ઉજવણી કરાઇ હતી. શામળાજીમાં ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો. શામળાજી મંદિરે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.
ડાકોર રણછોડજીને વિશેષ આભૂષણ શૃંગાર
ડાકોર મંદિરમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ડાકોરના રણછોડજી મંદિર પરિસર ભક્તોથી છલકાયુ હતું. રણછોડજીને વિશેષ આભૂષણ શૃંગાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત સવા લાખનો મુગટ ભગવાને ધારણ કર્યો હતો. શ્રૃંગાર બાદ ભગવાન સોનાના પારણે ઝૂલ્યા હતા.
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં અમિત શાહે કૃષ્ણ જન્મોત્સવની કરી ઉજવણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. અમિત શાહે ભગવાન કૃષ્ણની આરતી ઉતારી. પરિવાર સાથે અમિત શાહે શ્રીકૃષ્ણના દર્શનનો લ્હાવો લીધો હતો. ત્યારે આ દરમિયાન જય શ્રીકૃષ્ણના નાદ સાથે ઇસ્કોન મંદિર ગૂંજી ઉઠ્યું હતું.