અસામાજિક તત્વોએ રામનવમીની રેલીનો કેસરી ઝંડો સળગાવી દેતા રોષ ભભૂક્યો હતો. ભઠાણ ચોકમાં મારામારી થતા દ્વારકા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.
દ્વારકામાં કેસરી ઝંડો સળગાવાતા વિવાદ વકર્યો
યુવકે રામનવમીની રેલીનો ઝંડો સળગાવતા વિવાદ
ભારે તંગદીલી વચ્ચે લોકોના ટોળેટોળા એકત્ર થયા
સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાતમાં રામનવમીની રેલીમાં પથ્થરમારાની ઘટના બનતા તંગદિલી સર્જાઇ હતી જે બાદ દ્વારકામાં યુવકે રામનવમીની રેલીનો ઝંડો સળગાવતા વિવાદ સર્જાયો છે. રામનવમીને લઈ શહેરમાં જ્યાં જ્યાં શોભાયાત્રા નીકળવાની હતી ત્યાં ત્યાં કેસરી કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેમાં કોઈ અસમાજીક તત્વએ કેસરી ઝંડો સળગાવી દીધો હતો. દ્વારકાના ભઠાણ ચોકમાં બનેલી આ ઘટના બાદ ભારે તંગદીલી વચ્ચે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને મારામારી થતા દ્વારકા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.
આરોપીને ઝડપથી પકડવાની હતી માંગ
આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ભઠાણ ચોકમાં એકઠા થઈ ગયા હતા. ઝંડો સળગાવતા યુવકને મારમારવાની ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા અસરગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.રજૂઆત કરવા લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પણ પહોંચી રહ્યા છે. ભેગા થયેલા લોકોએ જોર જોરથી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.ઝંડો સળગાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.
દ્વારકામાં ઝંડો સળગાવવાનો મામલો વધુ ઉગ્ર બન્યો
લોકોના ટોળેટોળા પોલીસ મથકે ઉમટ્યા. પોલીસ સ્ટેશન પાસેના હાઇવે પર લોકોએ ચક્કાજામ કર્યો. હજારોની સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા છે. એસ.પી સહિતના અધિકારીઓ પોલીસ મથકે હાજર.
પોલીસ સ્ટેશન બહાર લોકોએ જમાવડો કરતા પોલીસ એક્શનમાં
ઝંડો સળગાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ
આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પોલીસની બાંહેધરી
જિલ્લા પોલીસ વડાએ શાંતિ જાળવી રાખવા લોકોને કરી અપીલ
ગાંધીનગરમાં રાતે 11 વાગ્યે ગૃહમંત્રીની મહત્વની બેઠક
રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી. આ સ્થિતિ વચ્ચે સરકાર સક્રિય થઇ છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે બોલાવી બેઠક
સાબરકાંઠા અને ખંભાતમાં તંગદીલીની સ્થિતિ મામવે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રાતે 11 વાગ્યે મહત્વની બેઠક યોજાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ આપ્યા છે. બંને શહેરોમાં થયેલા ઘર્ષણ અંગેની સ્થિતિની સમીક્ષા કરશે.
અસામાજિક તત્વોએ બન્ને શહેરોમાં ફેલાવી હિંસા
દરેક ધર્મના લોકોને પોતાનો તહેવાર ઉજવવાનો અધિકાર છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો બસ આ તહેવારોમાં હિંસા ફેલાવવામાં જ માનતા હોય તે વાત આજે ફરી ગુજરાતના બે જિલ્લાઓમાં સામે આવી. જેમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો.
હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સૌથી ગંભીર માહોલ સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો. અહીં જ્યારે હિંદૂ સંગઠનો દ્વારા છાપરિયા રામજી મંદિરથી રામનવમીની શોભાયાત્રા યોજી તો કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. હિંદૂ સંગઠન અને અસામાજીક તત્વો વચ્ચે હિંસા ફેલાઈ. જેમાં કેટલાક તત્વોએ બાઈક અને જીપને આગચંપી પણ કરી હતી. જોકે હિંસાની જાણ થતા જ જિલ્લા પોલીસ દોડી આવી હતી. જોકે સ્થિતિ એટલી વણસી હતી કે, ટોળાને વિખેરવા માટે પહોંચેલા પોલીસના કાફલા પર પણ હુમલો થયો હતો. જેમાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા. જોકે અસામાજિક તત્વો પર કાબૂ મેળવવા માટે પોલીસે 5 ટીયરગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવીને માહોલ શાંત પાડ્યો હતો. SRP બટાલિયનને હિંમતનગર બોલાવાઈ છે. અરવલ્લી સહિત મહેસાણા પોલીસ પણ હિંમતનગરમાં ખડકી દેવામાં આવી છે. હાઇવે વિસ્તારમાં 2 દુકાનના કાચ તૂટ્યા છે, તો 2થી વધુ દુકાનો સળગાવી દેવામાં આવી છે.
આણંદના ખંભાતમાં ભડકી હિંસા
આ તરફ આણંદના ખંભાતમાં પણ શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મૃત્યુ થયું છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શખ્સે જીવ ગુમાવ્યો છે. શહેરની મુખ્ય બજારમાં દુકાનોમાં આગચંપીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. ટાવર બજાર વિસ્તારો અસામાજિક તત્વોએ 7થી 8 દુકાનોમાં આગ લગાવી દીધી હતી. જોકે સ્થિતિ કાબૂ બહાર પહોંચે તે પહેલા જ સમગ્ર વિસ્તારમાં SP, ASP, જિલ્લા LCB અને SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી.