દર ચોમાસાએ રાજ્ય (Gujarat) ના કેટલાંક વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી જતી હોય છે. ત્યારે આ વર્ષે ફરી તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે.
દ્વારકામાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઇ
પ્રથમ વરસાદમાં ભાડથર પાસેના પુલ પાસે રોડમાં ગાબડા
5 મહિના પહેલા બનેલા રોડ પર તિરાડો પડતા લોકોમાં રોષ
રાજ્ય (Gujarat) માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. રાજ્યના અનેક જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. ત્યારે ગઇકાલે દ્વારકામાં વરસેલા પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી જતા દ્રારકાની જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
બિસ્માર રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય
દ્વારકામાં પ્રથમ વરસાદમાં જ ભાડથર પાસેના પુલ પાસેના રોડમાં તિરાડો પડી ગઇ છે. માત્ર 5 મહિના પહેલા બનેલા રોડ પર તિરાડો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નબળી ગુણવત્તાની રોડની કામગીરી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. હાલ તો આ બિસ્માર રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જનતા વહેલામાં વહેલી તકે આ બિસ્માર રોડના સમારકામની માંગ કરી રહી છે. પ્રથમ વરસાદી માહોલમાં જ પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.
એક તરફ વરસાદ આવતાની સાથે દ્રારકાવાસીઓમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીથી દ્રારકાવાસીઓને રાહત મળી છે. વરસાદ આવતાની સાથે લોકોએ ઘરની બહાર નીકળી અને અગાસીમાં પહોંચીને વરસાદની મજા માણી હતી. તો બીજી તરફ દ્રારકામાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઇ છે.
હજુ તો 5 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો
દ્રારકામાં પ્રથમ વરસાદમાં જ રોડમાં તિરાડો પડી જતા તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે રાજ્યમાં ભારે વરસાદ વરસશે તો દ્રારકાની શું દશા થશે? માત્ર પ્રથમ વરસાદમાં જ તંત્રની અહીં ભ્રષ્ટ નીતિ ખુલ્લી પડી ગઇ છે. કારણ કે એવું કહેવાય છે કે, હજુ તો 5 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો છે છતાં રોડમાં તિરાડો પડી ગઇ છે. આથી, જો કંઇ અજુગતી ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે? કોઇ દુર્ઘટના ઘટશે પછી યોગ્ય પગલાં લઇને શું મતલબ?
કેમ આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ નથી કરાતા?
અહીં કેટલાંક સવાલો પણ ઊભા થયા છે. જેમ કે, પ્રથમ વરસાદમાં જ જો રોડમાં આવી તિરાડો પડી જાય તો એવું કેમ ચાલશે? 5 મહિના પહેલા જ બનેલા રોડની જો આવી હાલત થઇ જશે તો બાકીના રોડની તો વાત જ શું કરવી? આ નબળી ગુણવત્તાનો રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે? કેમ આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ નથી કરાતા? ક્યાં સુધી આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો લોકોના જીવ જોખમમાં મૂકતા રહેશે? વારંવાર રોડમાં તિરાડો પડવા છતાં તંત્ર કેમ ગંભીર નથી થતું? જનતા પાસેથી પૂરતો ટેક્સ તો ઉઘરાવો છો તો પછી પૂરતી સગવડતા કેમ નથી આપતા?