ફાગણી પૂનમને હવે થો઼ડા દિવસોની જ વાર છે. આ દિવસે દ્વારકામા ફુલદોલોત્સવ યોજાય છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શન કરવા ઉમટી પડે છે. આ દિવસે જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળે છે. અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી ભક્તો પગપાળા દર્શન કરવા જાય છે. અમદાવાદથી 425 કિમી દૂર આવેલા દ્વારકાધીશના મંદિરમાં આ દિવસે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી તેમ કહેવુ ખોટુ નથી. ત્યારે પગપાળા દર્શન કરવા માટે આવતા ભક્તોને ધ્યાને રાખીને દ્વારકા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વાહનની સ્પીડ લિમિટ 40 નક્કી કરાઇ
ફુલદોલોત્સને લઇને દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી પડશે. તેમાં પણ પગપાળા સંઘની તો શરુઆત થઇ ગઇ છે. ત્યારે દ્વારકા કલેક્ટરે 40 કિમીથી વધારે સ્પીડ પર વાહનચલાવવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ખંભાળિયા, લીંબડી, ચરકલા, હર્ષદ અને ઓખા, મીઠાપુરના તમામ રુટ પર 40કિમીની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી. યાત્રિકોને ધ્યાને રાખીને શહેરમાં વન વે પોઇન્ટ જાહેર કરાયા.
પાર્કિંગ-નો પાર્કિંગ ઝોન જાહેર
ફુલ દોલોત્સવને લઇને કલેક્ટર મુકેશ પંડ્યાએ જાહેરનામુ પ્રસિધ્ધ કરતા ટ્રાફિકની સમસ્યા પર પણ ધ્યાન આપ્યુ. આ દિવસે યાત્રીકોની ભીડ વધારે હોવાથી લોકો જ્યાં ત્યાં પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે આથી પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા તેમજ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા, મહત્વનું છે કે ૧૭ માર્ચના રોજ હોળી અને તા.૧૮ માર્ચના રોજ ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે. ફાગણ માસની આ સુદ પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. લોકો માનતા પુરી કરવા માટે પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળી ગયા છે. રસ્તા પર જય રણછોડ માખણ ચોર સાથે ધજા લઇને ભક્તો કૃષ્ણભક્તિમાં રંગાઇ જાય છે.