જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મિની વેકેશનમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો પ્રવાસીઓ માટે હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી ઉપડતી લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોમાં ખૂબ જ મોટું વેઈટિંગ લિસ્ટ છે.
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મિની વેકેશનમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો પ્રવાસીઓ માટે હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળે ફરવા જવામાં પ્રવાસીઓને હવે કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે. ગોવા અને આબુ જેવા સ્થળોએ યાત્રિકોનો સારો એવો ધસારો છે.
પોરબંદર-મુઝફ્ફરપુર, પોરબંદર-હાવડા, હાપા-મડગાંવ સહિતની ટ્રેનોમાં લાંબું વેઈટિંગ જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં જ સોમનાથ, દ્વારકા જેવાં ધાર્મિક અને સાસણ-ગીર, દીવ, અંબાજી-સાપુતારા સહિતના પ્રવાસન સ્થળો જેવાં ટ્રેનના જનરલ કોચમાં જન્માષ્ટમી દરમિયાન હાઉસફુલ છે. તો બીજી બાજુ યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રાજકોટ એસ.ટી. ડિવિઝન દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા 50થી એક્સ્ટ્રા વધુ બસો દોડાવવામાં આવશે. પારંપારિક રીતરિવાજો એટલે કે લોકો શહેરમાં મેળાની મોજ માણતા અને આજુ બાજુ વિસ્તારોમાં હરવા ફરવા જતા હતા. પણ હવે લોકો ચાર પાંચ દિવસની રજાઓ પોતાના પરિવાર કે મિત્રો સાથે રહેવાનું પસંદ કરી રહ્યાં છે.
ટૂરિઝમ ટ્રાવેલ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે પહેલાં શિયાળો કે ઉનાળાની રજાઓ દરમિયાન જ ફરવા જવાનો ટ્રેન્ડ હતો. જેમાં હવે ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે લોકો 3 થી 5 દિવસની રજાઓમાં બહાર જવાનો ટ્રેન્ડ વધ્યો છે. સોમનાથ, દ્વારકા, સાસણગીર, દીવ, અંબાજી, સાપુતારા સહિતનાં સ્થળોમાં જન્માષ્ટમી દરમિયાન ભારે ભીડ રહે છે. આ વખતે ગોવા, કેરાલા, સિક્કિમ, સીમલા ઊટી જેવાં સ્થળોમાં સહેલાણીઓ ઊમટી પડશે. સાસણગીર, દ્વારકા, સોમનાથ, કચ્છ, પર્યટકોના ફેવરિટ સ્પોટ બની ગયાં છે. તે ઉપરાંત સાપુતારા, અંબાજી, માઉન્ટ આબુ, પાવાગઢ, ચાંપાનેર, માંડવી બીચ, તુલસીશ્યામ, દીવ, દમણ હાઉસફુલ થઇ છે. જન્માષ્ટમીનો તહેવાર આવતાં જ અમદાવાદથી ગોવાનું વન-વે એરફેર રૂ. 12, 200 રૂપિયા સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં ગોવા માટેનું એરફેર રૂ. 29૦૦થી રૂ. 35૦૦ વચ્ચે હોય છે. હોટેલ-રિસોર્ટ્સે આ ધસારાનો લાભ લેવા માટે તેમનું ટેરિફ સામાન્ય દિવસો કરતા 50 ટકા વધારી દીધું છે.