વર્તમાન સત્રમાં, અમુક સાંસદો કાશ્મીર મુદ્દે તો અમુક ચીન સાથેના સરહદી તણાવને લઈને પ્રશ્નો પૂછી રહ્યા હતા, અમુક અન્ય સભ્યોએ બેંકિંગ ક્ષેત્ર, ખેડૂત આંદોલન અને અન્ય સળગતા પ્રશ્નોથી સંબંધિત સવાલો ઉઠાવ્યા હતા, પ્રશ્નોત્તરીકાળ દરમિયાન, લોકસભાના 18 સાંસદોએ મરઘાં વિશે પણ સવાલો પૂછ્યા હતા.
દેશમાં પોલ્ટ્રી ફાર્મની હાલત વિશે સાંસદોને મેળવવી હતી જાણકારી
સાંસદોને દેશની મરઘીઓના આરોગ્ય વિશે જાણવું હતું, કેટલી નિર્દોષ મરઘીઓને મારી નંખાઈ, ક્યાં કેટલી ખોટ ગઈ છે?, લોકસભામાં આવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેટલી આર્થિક મદદ કરી છે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડો.સંજીવકુમાર બાલિયાને મરઘાં સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા, અને 11 લાખથી વધુ મરઘાંને કેમ મારી નાખવામાં આવ્યા તે પણ સમજાવ્યું હતું.
તેમના પ્રશ્નોની સૂચિ લાંબી હતી. આ લોકોએ મુખ્યત્વે એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી પ્રભાવિત રાજ્યોની સંખ્યા કેટલી છે? સરકારે આ ફ્લૂના ફેલાવાને અંકુશમાં લેવા શું પગલા લીધા છે. મરઘીઓને લઈને કેટલું નુકસાન થયું છે. આ રોગને આગળ વધતા અટકાવવા કેટલા મરઘાઓને મારી નાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા તેમના માલિકોને કેટલું વળતર આપવામાં આવ્યું છે વગેરે જેવા સવાલો પૂછ્યા હતા.
સરકાર દ્વારા લેવાયેલા પગલાંની કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી
ડો. સંજીવકુમાર બાલિયાને સાંસદોને જણાવ્યું હતું કે, શિયાળા દરમિયાન પ્રવાસી પક્ષીઓના આગમનને લીધે, મરઘાં પર નજર રાખવાની સલાહ પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી. રાજ્યોને બર્ડ ફ્લૂ નિયંત્રણ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. પ્રાણી સંગ્રહાલય અને મરઘાં ફાર્મ વગેરે નજીક દેખરેખ વધારવામાં આવી હતી. જરૂરી પી.પી.ઇ કીટ્સ, એસેસરીઝ, જંતુનાશક પદાર્થો અને અન્ય લોજિસ્ટિક્સનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો હતો, અને નુકસાન પામેલા માલિકોને વળતર માટે ફંડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 95181 પોલ્ટ્રી પક્ષીઓ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મૃત્યુ પામ્યા છે, જ્યારે 336120 પોલ્ટ્રી પક્ષીઓ માર્યા ગયા છે. કેરળ, કર્ણાટક, ઓડિશા, તેલંગાણા, મણિપુર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ત્રિપુરા, છત્તીસગઢ, ગુજરાત, યુપી, પંજાબ, બિહાર, હરિયાણા, દિલ્હી અને દમણ વહીવટીતંત્રમાં વર્ષ 2015 થી 2020 દરમિયાન એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ નોંધાયા છે.આ સમયગાળા દરમિયાન, 1132865 મરઘીઓના મોત થયાના અહેવાલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં પશુ રોગ નિયંત્રણ હેઠળના રાજ્યોને 160.11 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકારે દેશમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા માટે કોઈ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી.