કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે આ લૉકડાઉનનો નિર્ણય યોગ્ય સાબિત થઇ રહ્યો છે. પીએમ મોદીએ જ્યારે 1 મહિના પહેલાં લૉકડાઉનની જાહેરાત કરી હતી તે સમયે ભારતના કેસ 500ની આસપાસ હતા. આ સાથે જ તે સમયે દેશભરમાં કોરોનાથી જોડાયેલા મામલાઓનો સરેરાશ દૈનિક વૃદ્ધિદર 22 ટકા હતો જે ઘટી અને હવે 8 ટકા થઇ ગયો છે. એટલે કે કોરોના વાયરસના કેસ દરમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે. જો ભારતમાં સરેરાશ દૈનિક વૃદ્ધિદર 22 ટકા હોત તો અત્યાર સુધી 2 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા હોત. જો કે લૉકડાઉનના કારણે કોરોના વૃદ્ધિદરમાં ઘટાડો આવ્યો છે.
ભારત માટે સારા સમાચાર
લૉકડાઉનના કારણે કોરોનાના કેસ દરમાં 14 ટકાનો ઘટાડો
કોરોના કેસ દર 22થી 8 ટકાએ પહોંચ્યો
આ રીતે વૃદ્ધિદરની સાથે વધશે કેસની સંખ્યા
લૉકડાઉનના કારણે દેશમાં કોરોનાનો કેસ દર 22થી 8 ટકા સુધી પહોંચ્યો છે. આ ભારત માટે સારા સમાચાર છે. જો 8 ટકાના વૃદ્ધિદર રહેશે તો આ મુજબ આગામી સપ્તાહ સુધીમાં ભારતમાં 40 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા હશે. અને આગામી 15 દિવસમાં 70 હજાર અને મે મહિનાના અંત સુધીમાં અઢી લાખની આસપાસ ભારતમાં કોરોનાના કેસ નોંધાયા હશે. જો કે કેટલાક રાજ્યોમાં કોરોના વૃદ્ધિદર ઓછા છે. કેરળમાં વૃદ્ધિદર 1.8 ટકા છે જે જર્મનીથી પણ ઓછો છે. જેના કારણે ભારતના કોરોના વૃદ્ધિદરમાં ઘટાડો થશે.
વૃદ્ધિદર 5 ટકા રહેશે તો કેસની સંખ્યા હશે આટલી
જો ભારતમાં કોરોના વૃદ્ધિદર 5 ટકા રહ્યો તો ભારતમાં 1 લાખથી વધુ મામલાઓ નહીં આવે અને 6 ટકા રહ્યો તો એક મહિના બાદ ભારતમાં 1.3 લાખ જેટલા કેસ હશે.
હાલમાં ક્યાં કેટલો છે કોરોનાનો વૃદ્ધિદર
હાલમાં કેરળમાં કોરોના વૃદ્ધિદર સૌથી ઓછો એટલે કે 1.8 ટકા જ છે જેનાથી દેશને ફાયદો થશે. જર્મનીમાં લૉકડાઉન બાદ વૃદ્ધિદર 2% સુધી પહોચી ગયો હતો તો અમેરિકામાં 1 મહિના બાદ વૃદ્ધિદર ઘટીને 4.8% થયો છે. અન્ય દેશોની તુલનામાં હજુ પણ ભારતમાં વૃદ્ધિદર 8 ટકા એટલે કે ઘણો વધુ છે. આ દરને હજુ પણ ઘટાડવાની જરૂર છે.