હવે સમય એવો આવી ગયો છે કે મોટાભાગની વસ્તુઓ ભેળસેળવાળી જ મળે છે. મીઠાઈથી લઈને ખાવા-પીવાની અનેક વસ્તુઓમાં ભેળસેળ થતી હોય છે. હવે તેમાં એક નામ વધુ જોડાઈ ગયું છે અને તે છે જીરું, જી હાં, હવે જીરું ખરીદતી વખતે સાવધાની રાખજો, કારણ કે બજારમાં હવે જીરુંમાં પણ ભેળસેળ થવા લાગી છે.
બજારમાં મળી રહ્યું છે ભેળસેળવાળું જીરું
20 રૂપિયા કિલો મળે છે નકલી જીરું
સ્વાસ્થ્ય માટે ખતરનાક છે નકલી જીરું
જીરું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પરંતુ, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જીરું શાકભાજીથી લઈને ઘણી દેશી દવાઓમાં પણ વપરાય છે. પણ હવે ગુણકારી જીરું પણ ભેળસેળવાળું મળી રહ્યું છે. દિલ્હી પોલીસે બવાનામાં નકલી જીરું બનાવવાની ફેક્ટ્રીનો પર્દાફાશ કર્યો છે. અહીં ખાસ પ્રકારની ઘાસ, પત્થરના દાણા અને ગોળની ચાસણીનો ઉપયોગ કરીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. પોલીસને ફેક્ટ્રીમાંથી 20 હજાર કિલો તૈયાર નકલી જીરું અને 8 હજાર કિલો કાચો માલ મળી આવ્યો છે.
નકલી જીરું બનાવવા કોઈ જ મહેનત કરવી પડતી નથી
આરોપીઓએ જણાવ્યું હતું કે નકલી જીરું બનાવવા માટે તેમને કોઈ જ મહેનત કરવી પડતી નથી અને માત્ર 3 જ વસ્તુઓથી તે તૈયાર થઈ જાય છે. જંગલી ઘાસ, પત્થરના દાણા અને ગોળની ચાસણીનો ઉપયોગ કરીને નકલી જીરું બનાવાય છે. જેને બજારમાં સસ્તા ભાવે વેચવામાં આવે છે. તેમાં ઉપયોગમાં લેવાતી જંગલી ઘાસ નદીના કિનારે ઉગે છે. આ ઘાસમાં જીરુંની જેમ જ નાના-નાના પાન ચોંટેલા હોય છે. જેથી અસલી જીરું ઓળખવું મુશ્કેલ બને છે.
20 રૂપિયા કિલો મળે છે નકલી જીરું
ઘાસના આ નાના પાનને ગોળની ચાસણીમાં નાખીને સૂકવવામાં આવે છે. જેથી તેનો રંગ જીરું જેનો થઈ જાય છે. ત્યારબાદ તેને પત્થરમાંથી બનેલા પાઉડરમાં મિક્સ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી નકલી જીરું અસલી જેવું જ દેખાય છે. હાલ બજારમાં અસલી જીરુ 300 રૂપિયા કિલો મળે છે. જ્યારે નકલી જીરું 20 રૂપિયા કિલોના ભાવે દુકાનવાળાઓને વેચવામાં આવે છે.
સ્વાસ્થ્ય માટે ખતરનાક છે નકલી જીરું
નકલી જીરું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેને ખાવાથી ઈમ્યૂનિટી પર ખરાબ અસર થાય છે. સાથે જ પથરીની અને સ્કિન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.
કઈ રીતે ઓળખશો નકલી જીરું
અસલી અને નકલી જીરુંની ઓળખ એકદમ સરળ છે. એક વાટકીમાં પાણી લઈ તેમાં થોડું જીરું નાખી દો. જે જીરું તૂટવા લાગે અને રંગ છોડવા લાગે તે નકલી જીરું હશે. જ્યારે અસલી જીરું પાણીમાં નાખ્યા પછી પણ એવું ને એવું રહે છે.