એક તરફ રાજ્યમાં રોજગારી વધારવા મુદ્દે સરકાર સક્રિય છે તો બીજી તરફ સરકારી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે આવી રહ્યા છે. ક્યાંક પરીક્ષાના પેપરો ફૂટે છે તો ક્યાંક કોપીકેસ અને ગેરરીતિ જેવા કેસ નોંધાય છે. ત્યારે હવે રાજ્યમાં સરકારી પરીક્ષાઓ બાદ બોર્ડની પરીક્ષામાં પણ કૌભાંડો સામે આવી રહ્યા છે.
જૂનાગઢમાંથી નકલી રિસિપ્ટ કૌભાંડ ઝડપાયું
જૂનાગઢમાંથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષાનું નકલી રિસિપ્ટ કૌભાંડ સામે આવ્યુ છે. સમગ્ર મામલે રાજકોટ કનેક્શન ખૂલ્યુ છે. લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના 2 કર્મીઓના નામ ખૂલ્યા છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે કોમ્પ્યુટર, મોબાઇલ અને પ્રિન્ટર સહિત 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક આરોપીને પણ ઝડપી પાડ્યો જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને શોધવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
કેવી રીતે આચરતા હતા કૌભાંડ ?
બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં આતુરતા હોય કે તેઓનો ક્યાં નંબર આવશે. પરીક્ષાનુ સ્થળ, બેઠક ક્રમાંક તથા પોતાનુ નામ અને માહિતી ધરાવતી હોલ ટિકિટ શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેના બેઠક ક્રમાંકને આધારે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શાળામાં પ્રવેશ મળે છે. ત્યારે આ રિસિપ્ટ પર કૌભાંડીઓ વિદ્યાર્થીઓના ફોટા બદલી નાંખીને અન્યોના ફોટા લગાવીને નકલી રિસિપ્ટ બનાવતા હતા. . મળતી માહિતી અનુસાર જિગ્નેશ પરમાર નામનો વ્યક્તિ પોતાના ઘરે લેપટોપ અને અન્ય સાધનોની મદદથી નકલી રિસિપ્ટ બનાવતો હતો. આ મામલે પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હજુ પણ બે આરોપીઓ ફરાર છે. જેની તપાસ પોલીસે શરુ કરી છે. આ બંને આરોપીઓ રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહીં સવાલ એ થાય કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામે ક્યારે કરાશે કડક કાર્યવાહી ?