રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પોલેન્ડ ભારતીયોને આવ્યુ વ્હારે, પોલેન્ડ-જામનગર વચ્ચે છે ઐતિહાસિક સંબધ
જામનગરનું ઋણ ચુકવ્યું પોલેન્ડે
પોલેન્ડમાં ભારતીયોને વિશેષ મહેમાનગતિ
રાજવી દિગ્વિજયસિંહએ આપેલા આશરાનું ઋણ
રશિયા-યુક્રેન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓનો સહારો બન્યુ છે પાડોશી દેશ પોલેન્ડ. પોલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરીને પોતાનું ઋણ ચૂકવી રહ્યું છે. જ્યારે બીજું વિશ્વ યુદ્ધ દરમિયાન નિઃસહાય થઇ ગયેલા પોલેન્ડને જામનગરના રાજવી દિગ્વિજયસિંહ દ્વારા પોલેન્ડના ૧૦૦૦ ઉપરાંત બાળકો તેમજ સ્ત્રીઓને આસરો આપવામ આવ્યો હતો. ઘણા લાંબા સમય સુધી જામનગરના બાલાછડી ખાતે પોલેન્ડના વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓને સહાય કરવામાં આવી હતી જે બદલ આજે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પિસાતા ભારતીયોને પોલેન્ડ મદદરુપ થઇ રહ્યું છે.
વસુધૈવ કુટુંબકમની ભાવના- પૂનમ માડમ
જામનગરના સાંસદ પૂનમ માડમે રાજવી દિગ્વિજયસિંહ દ્વારા કરવામાં આવેલા આ શ્રેષ્ઠ કાર્યને વાગોળતા જણાવ્યુ હતું કે જામનગરનો પોલેન્ડ સાથેનો ઇતિહાસ એ ગર્વ લેવા જેવી બાબત છે. યુદ્ધના સમયે પોલેન્ડના વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિ અને કલ્ચરને ધ્યાને રાખીને ઘણા લાંબા સમય સુધી જામનગરમાં આશરો આપવામાં આવ્યો હતો. એ સમયથી જામનગર અને પોલેન્ડ વચ્ચે એક મજબૂત નાતો બંધાયો છે. જામનગરના રાજવીની કામગીરીના માનમાં પોલેન્ડમાં ઘણા માર્ગોના નામ જામનગરના રાજવીના નામે છે તેમજ તેમની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
'પોલેન્ડના નાગરિકો ભારતીયોનું કરે છે સન્માન'
સાંસદ પૂનમબેન માડમે વધુમાં જણાવ્યુ હતુ કે રશિયા અને યુક્રેનની સ્થિતિને પગલે જે પણ ભારતીયો પોલેન્ડમાં જાય છે, આપણો ભારતીય પાસપોર્ટ હોય કે ભારતીય ફ્લેગ હોય, ભારતીયોને એટલુ સન્માન આપે છે કે ભારતીયોને પોતાના દેશમાં પરત જવા માટે ગ્રીન કોરિડોરની સુવિધા કરી આપવામાં આવે છે. કોઇ ભારતીયોને હેરાન કરતા નથી અને હેમખેમ તેઓ બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
સમગ્ર દેશ માટે ગૌરવરૂપ બાબત
મહત્વનું છે કે વર્ષો જુના જામનગરના રાજવીએ કરાયેલું ઋણ આજે દેશની જનતાને ખરા સમયમાં ઉપયોગી થયું છે. ત્યારે જામનગરના રાજવીની વિશ્વ ફલક પર રહેલી નામનાને લઈને આજે ભારતીઓને કટોકટીના સમયમાં વિદેશમાં પણ વિશેષ સુવિધાઓ મળી રહે છે. જે જામનગર સહીત સમગ્ર દેશમાં ગૌરવની વાત છે.
વાત છે દ્રિતિય યુદ્ધ વખતની...
હકીકતમાં દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો, જર્મન તાનાશાહ હિટલર અને સોવિયત રશિયાના તાનાશાહ સ્ટાલિનની વચ્ચે ગઠબંધન થયું. જર્મન અટેકના 16 દિવસ બાદ સોવિયત સેનાએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, બંને દેશોનું પોલેન્ડ પર કબ્જો ન થાય ત્યાં સુધી તબાહી થઈ. હજારો સૈનિકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં બાળકો અનાથ થઈ ગયા. તે બાળકો કેમ્પમાં અત્યંત અમાનવીય હાલતમાં જીવવા માટે મજબૂર બન્યા. બે વર્ષ બાદ 1941માં રશિયાએ કેમ્પ ખાલી કરવાનું ફરમાન આપ્યું. ત્યારે બ્રિટેનની વોર કેબિનેટની મીટિંગ થઈ અને તે વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો કે, કેમ્પમાં રહેતા પોલિશ બાળકો માટે શું શું કરી શકાય.
દિગ્વિજય સિંહ જાડેજાની દરિયાદિલી
બ્રિટિશ વોર કેબિનેટની મીટિંગમાં નવાનગરના રાજા દિગ્વિજય સિંહ જાડેજા શામેલ હતા. આપને જણાવી દઈએ કે, આજનું જામનગર તે સમયે નવાનગર તરીકે ઓળખાતું હતું. ભારત પર ત્યારે અંગ્રેજોની હકુમત હતી અને જામનગર બ્રિટિશ રિયાસત હતી. દિગ્વિજય સિંહે કેબિનેટની સામે પ્રસ્તાવ રાખ્યો કે, તે અનાથ બાળકોને દેખરેખ કરવા માટે ઉત્સુક છે અને તેમને નવાનગર લઈ જવા માગે છે. તેમના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ અને બ્રિટિશ સરકારે મહારાજાને વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું.
1000 બાળકોનું પાલન પોષણ કર્યું
બ્રિટિશ સરકાર, બોમ્બે પોલિશ કોન્સ્યુલેટ, રેડ ક્રોસ અને રશિયાની અધિન પોલિશ ફૌઝના સંયુક્ત પ્રયાસથી બાળકોને ભારતમાં મોકલવામાં આવ્યા. 1942થી 170 બાળકોનો પહેલો જથ્થો જામનગર પહોંચ્યો. આવી રીતે અલગ અલગ જથ્થામાં લગભગ 1000 નિ: સહાય બાળકો ભારતમાં આવ્યા. મહારાજા દિગ્વિજય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાચડી ગામમાં આશરો આપ્યો. મહારાજાએ બાળકોને આશ્વાસન આપ્યું કે, હવેથી તે જ તેમના પિતા છે.
તમામ ખર્ચો મહારાજાએ ઉઠાવ્યો
બાલાછડીમાં દરેક બાળકોને અલગ અલગ બેડ આપવામાં આવ્યા, ત્યાં ખાવા-પીવાની, કપડા લત્તા અને સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સાથે તેમને રમવા માટે સુવિધા આપવામાં આવી. પોલેન્ડના બાળકો માટે ફૂટબોલ કોચ પણ મોકલાવ્યો. જેથી આ બાળકો પોતાની અલગ ન માને. એટલા માટે તેમના માટે એક લાઈબ્રેરી બનાવી અને ત્યાં પોલિશ ભાષાના પુસ્તકો પણ રાખવામાં આવ્યા. પોલિશ તહેવારો પણ ધૂમધામથી મનાવામાં આવતા. આ બધો ખર્ચ મહારાજાએ ઉઠાવ્યો હતો. તેમણે આના માટે ક્યારેય પોલેન્ડ પાસે ખર્ચો માગ્યો નહોતો.
મહારાજાની મહાનતાને ન ભૂલ્યું પોલેન્ડ
વર્ષ 1945માં વિશ્વયુદ્ધ ખતમ થવા પર પોલેન્ડના સોવિયત યુનિયનમાં ભળી ગયું. આગામી વર્ષે પોલેન્ડની સરકારે ભારતમાં રહેતા બાળકોને પાછા લાવવાનું વિચાર્યું. તેમણે મહારાજા સાથે વાત કરી. મહારાજાએ પોલિશ સરકારને કહ્યું કે, આપના બાળકો તમારી અમાનત છે, આપ જ્યારે પણ ઈચ્છો, લઈ જાવ. મહારાજાએ હા પાડી તો બાળકોની વાપસી થઈ.