વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે
ગુજરાત પર શાહીનનો ખતરો
દરિયા કાંઠના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફુંકાશે
ગુજરાત પર ફરી સંભવિત વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યું છે જેને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત- ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતાં વધી હતી, જેને કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.
ગુજરાત પર શાહીનનો ખતરો
ગુજરાત પરથી ગુલાબ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે ત્યારે હવે શાહીનનો ખતરો મંડાઈ રહ્યો છે. જો કે આ શાહીન વાવાઝોડું કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચશે તેવું અનુમાન છે. ગુલાબ વાવાઝોડું શાહીન ચક્રવાત બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળશે. વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે, સાથે સાથે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે.
દરિયા કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાશે
શાહીન વાવાઝોડાને કારણે દરિયામાં 100 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે. માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે, તો બીજી તરફ તંત્ર દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ જ્યારે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે.
શાહીન વાવાઝોડું દ્વારકાથી 50 કિમી દૂર
કચ્છમાં સંભવિત વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને પવનની ગતિમાં વધારો થયો છે જ્યારે માંડવી,જખૌ,નલિયા,કંડલા,મુન્દ્રા સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા સ્થાનિકોને દરિયાકિનારે ન જવા સૂચના અપાઈ છે, આ તરફ વાવાઝોડાની અસરને લઇ સુરક્ષા એજન્સીઓનું અલર્ટ થતા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને અપાઇ સૂચના છે.
ભારે વરસાદથી નદીઓ બની ગાંડીતૂર
આ તરફ દ્વારકાના જામરાવલમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા વર્તુ-2 ડેમ અને સાની ડેમના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પગલે પાનેલી ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે.
પોરબંદરમાં વાવાઝોડાની અસર
આ તરફ સંભવિત વાવાઝોડાની અસર પોરબંદરમાં પણ જોવા મળી રહી છે, વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો છે વહેલી સવારથી દરિયા કિનારે ફૂંકાતા પવનની ગતીમાં વધારો થયો છે. વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.
વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે વાવાઝોડાની આગાહીને પગલે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હાલ ગીર સોમનાથના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવી લેવામાં તંત્ર તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે.