ખેડા: આજે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. વહેલી સવારે મંગળા આરતીમાં પણ હજારો ભક્તો ઉમટયા હતા અને ડાકોરના રસ્તા માનવ મહેરામણમાં ફેરવાયા હતા. ડાકોર રણછોડજી મંદિરમાં આજે વહેલી સવારે મંગળાઆરતી અને એ પછી કેસરસ્નાનથી લઈને દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.
બીજી તરફ જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી ડાકોર ગૂંજી ઉઠયુ હતું. તો ભગવાન પણ આજે સોનાની રાખડી ધારણ કરશે. અમદાવાદ સહિત અન્ય સ્થળોએથી ધોળી ધજાઓ લઈ સંધોમાં આવેલા યાત્રાળુઓ મંદિરના શિખર પર ધજાઓ ચઢાવશે.
ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બ્રાહ્મણોમાં પણ જનોઈ બદલવાની પરંપરા છે. તો ડાકોરમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો જનોઈ પણ બદલશે. અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ સહિત દૂરદૂરના સ્થળોએથી તીર્થસ્થાન પર આજે ભાવિકો પોતાના ખાનગી વાહનો ઉપરાંત એસ.ટી. બસ અને ટ્રેનોમાં ડાકોર પહોંચ્યા હતા. પોલીસતંત્ર દ્ધારા યાત્રાધામોમાં મંદિર સહિત જાહેર સ્થળોએ બંદોબસ્ત ગોઠવાયો છે.