ડીસામાં 12 જેટલી ગૌશાળા તેમજ પાંજરાપોળ છે. તેમાં 21 હજાર કરતા વધુ પશુ આ આશ્રિત છે, પશુધનને નિર્વાહ કરવા માટે રોજે રોજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને ઘાસચારાની જરૂર પડે છે
બનાસકાંઠામાં ઘાસચારાની ભારે ઘટ
ગૌશાળા સંચાલકો નિરાશ
પશુઓ માટે સહાય માગતા સંચાલકો
બનાસકાંઠા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા 165 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની તંગી ઉભી થઈ છે. અને પશુઓની હાલત કફોડી બની છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થયો છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ચોમાસાના ઓગસ્ટ માસના અંત સુધીમાં જિલ્લામાં 28 ટકા જેટલો વરસાદ થયેલો છે. જેના કારણે હાલમાં સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં આવેલી 165 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ પર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી 165 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં 75 હજાર કરતા વધુ પશુધન વસવાટ કરે છે.
તેમાં ડીસાની વાત કરવામાં આવે તો, ડીસામાં 12 જેટલી ગૌશાળા તેમજ પાંજરાપોળ છે. તેમાં 21 હજાર કરતા વધુ પશુ આ આશ્રિત છે. આ પશુધનને નિર્વાહ કરવા માટે રોજે રોજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને ઘાસચારાની જરૂર પડતી હોય છે. પરંતુ હાલમાં વરસાદની અછતના કારણે ઘાસચારામાં અછત સર્જાઈ છે. બહારથી આવતો ઘાસચારો ઓછો થઈ જતા તેની અસર ઘાસચારાના ભાવ પર જોવા મળી રહી છે. હાલમાં સતત ઘાસચારાની અછતથી 4 રૂપિયામાં મળતો ઘાસચારો 12 રૂપિયા જેટલો ભાવ થઈ જતાં હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ કોરોના મહામારીમાં દાતાઓ દ્વારા આવતું દાન તે પણ બંધ થતાં પાંજરાપોળ તેમજ ગૌશાળાની હાલત ખૂબ ખરાબ થવા પામી છે. જેથી સરકાર ગૌશાળા તેમજ પાંજરાપોળના વહારે આવે તેવી સંચાલકો માંગ કરી રહ્યા છે.
કોરોના વાયરસની મહામારીમાં પણ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ આંદોલન કરી સરકાર પાસેથી માંડ માંડ સહાય લાવી હતી. પરંતુ ફરી આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ હજુ સુધી વરસાદનું આગમન થયું નથી. વરસાદ ન થવાથી લીલા તેમજ સૂકા ઘાસચારાની ભારે અછત સર્જાઈ રહી છે. જેથી બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી સરકાર બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સત્વરે બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળ તેમજ ગૌશાળાની વાહરે આવે સહાય જાહેર કરે નહિતર આગામી સમયમાં પાંજરાપોળ તેમજ ગૌશાળામાં આશ્રય લઈ રહેલા અબોલ પશુઓ મોટા પ્રમાણમાં મોતને ભેટ તેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે તેમ છે.