રાજ્યના 8થી વધુ જિલ્લામા અતિભારે વરસાદ ગણતરીની કલાકોમાં પડી જતા 61 જિંદગીઓ ગઈ, પશુધનને પણ મોટું નુકસાન
ભારે વરસાદને કારણે રાજ્યભરમાં ભારે તારાજી
અત્યાર સુધી રાજ્યમાં વરસાદને કારણે 61 મૃત્યુ
રાજ્યમાં કુલ 272 જેટલા પશુઓના પણ મૃત્યુ નોંધાયા
ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મેઘ મહેર કહેર બનીને વરસી છે. ભારે વરસાદને કારણે રાજ્યભરમાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદને કારણે 61 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. વીજળી પડવાથી, ડૂબી જવાથી, તણાઈ જવાથી, વૃક્ષ પડવાથી આ જાનહાની સર્જાઇ છે. સાથે સાથે પશુઓ માટે પણ વરસાદ આફત બની વરસ્યો છે. રાજ્યમાં કુલ 272 જેટલા પશુઓના પણ મૃત્યુ પણ વધારે વરસાદને લીધે નોંધાયા છે. જો કે તમામ જિલ્લામાં મોટાપાયે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. લોકોને ઓછી તકલીફ પડે તેને લઈને તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ સૂચન પણ કરવામાં આવ્યું છે કે લોકો નીચાણવાળા વિસ્તારમાંથી મદદ મેળવી સુરક્ષિત સ્થળે ખસી જાય. ઝાડ કે વીજળીના થાંભલા તેમજ નદી-નાળા વિસ્તારમાં જતા બચે.
બોડેલીના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત
છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વચ્ચે એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વિઓગતો મુજબ બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. જેમાં અચાનક પાણી આવ્યું તે દરમ્યાન વૃદ્ધ મહિલા ઘરમાં જ હોય અને રાત્રિનો સમય હોય મહિલા બહાર ન નીકળી શકતા તેમનું મોત થયું હતું. જોકે પરિવારે બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી શક્ય નહોતા.
નવસારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ કરુણાંતિકા
નવસારી શહેરમાં પણ પૂર આવ્યા બાદ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. વિગતો મુજબ શહેરના વોર્ડ નં-13 અને બાલાપીર દરગાહની પાછળ રહેતા વૃદ્ધાનું ડૂબી જવાથી મોત થયું છે. આજે સવારે પૂરના પાણી ઉતર્યા બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. આ તરફ પૂરના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ડાંગમાં 1 મહિલાનું તણાઈ જતા મોત
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવરીત વરસી રહેલા મેઘરાજા એ સમગ્ર ડાંગ જિલ્લામાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ તોફાની વરસાદને પગલે ધવલીદોડ ગામે એક મહિલાનું પૂરના પાણીમાં તણાય જવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ ગાય ઉપર શેડ પડવાથી મૃત્યુ થયું હતું.
રિક્ષા ઉપર ઝાડ પડતાં 3ના મોત
દહેગામ-ગાંધીનગર રોડ પર પવનના સુસવાટા વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. દહેગામ-ગાંધીનગર રોડ ઉપર વૃક્ષ પડતા 3ના લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. સોલંકીપુરા વિસ્તારમાં પીપળાનું ઝાડ રીક્ષા ઉપર પડયું હતું જેમાં ત્રણ સવાર વ્યક્તિ ઝાડના થળ નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટના બાદ રસ્તા ઉપર ટ્રાફિકજામ થયો હતો. રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામા આવી હતી. ઝાડના થળને કાપી ત્રણ મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આયા હતા.
આજે સવારથી 157 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સવારથી 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના ડેડિયાપાડામાં 16.5 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરપાડામાં 14.5 ઈંચ અને તિલકવાડામાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ નાંદોદમાં 10.5 ઈંચ, કપરાડામાં 7.5 ઈંચ, ગરૂડેશ્વરમાં 5.5 ઈંચ, સાગબારામાં 5.5 ઈંચ, ડાંગમાં 5.5 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ અને ઉચ્છલમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર, વલસાડ, સોનગઢમાં 4-4 ઈંચ, વઘઈમાં 3.5 ઈંચ, સુબિર, નેત્રંગ અને લખપતમાં 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ ધનસુરા, વીજાપુર, ઉમરગામમાં 2 ઈંચ અને ડોલવણ, માંગરોળમાં, જોડીયા, કચ્છના માંડવી અને માણસામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પ્રાંતિજ, વ્યારા, માંડવી, પારડી, ખેરગામ, નસવાડી, ટંકારા અને વાંસદામાં 2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત તલોદ, ભરૂચ, ગીર ગઢડામાં 1.5 ઈંચ તથા દસક્રોઈ, સાણંદ, ઉના અમને ઝઘડિયામાં સવા ઈંચ થયો છે. સાથે હિંમતનગર, વાલોદ, તારાપુર, ગણદેવી, મહુવા, ચિખલી, વાલીયા, ડભોઈ, રાપર, વઢવાણ, માળીયા અને કલોલમાં એક-એક ઈંચ વરસાદ થયો છે.