દરિયાદેવ જ્યાં એક તરફ સાગરખેડૂ માટે જીવનનો આધાર બની રહે છે ત્યાં બીજી તરફ ફળદ્રુપ જમીન માટે વિનાશ પણ બની રહે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાની સપાટી આગળ વધી રહી છે. જેના કારણે દરિયાની ખારાશ ફળદ્રુપ જમીન પર વિપરિત અસર કરી રહી છે. જ્યાં એક સમયે હરિયાળી લહેરાતી હતી ત્યાં હવે દરિયાની ખારાશ પહોંચી જતાં ખેતી વિનાશને આરે આવીને ઊભી છે જોઈએ આ અહેવાલ.
પાણી વગર દુષ્કાળ સર્જાવો તે સ્વભાવિક છે પરંતુ પાણીના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાય તેને લીલો દુકાળ કહે છે પરંતુ આ ન તો લીલા દુકાળ છે કે ન તો સૂકા દુકાળ છે પરંતુ આ તો ખારે દુકાળ છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે આ વળી ખારો દુકાળ એટલે શું? ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે દરિયા કિનારે વસતા ગામોની જમીનોમાં એ હદે ખારાશ વ્યાપી ગઈ છે કે લોકોને જમીન પર નિભાવ કરવો દોહ્યલું બન્યું છે. દરિયા કિનારાના ગામોની જમીન દિવસને દિવસે બંજર બની રહી છે. કેમ કે દરિયાકાંઠાના ગામોની જમીનના તળમાં સમુદ્રના પાણી પહોંચી ગયા છે અને જમીનમાં ખારાશનું પ્રમાણ એ હદે વધારી દીધું છે કે જમીન ખેતી કરવા લાયક રહી નથી.
એક અહેવાલ મુજબ દેશની 6.72 મિલિયન હેક્ટર જમીનમાં ક્ષારના પ્રમાણમાં વધારો નોંધાયો છે. જેમાં ગુજરાતમાં 2. 22 મિલિયન હેક્ટર જમીન પણ ક્ષારના ભરડામાં આવી ગઈ છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠાના 5 કિલોમીટના વિસ્તારોમાં ખારાશ ફેલાઈ જતાં ધરતીપુત્રો દુવિધા અનુભવી રહ્યા છે. કેમ કે એક તરફ જમીન બિનફળદ્રુપ બનતા ખેતી કરવું અઘરું બન્યું છે. તો પશુઓ માટે ઘાસચારા માટે ફાંફા મારવા પડી રહ્યા છે.
ખારાશના કારણે જમીન બિનફળદ્રુપ બનતા રોજીરોટી માટે સ્થાનિક લોકોનું શહરે તરફ પ્રયાણ વધ્યું છે. ખેડૂતોની મહામૂલી અને પેઢીદર પેઢી આજીવિકાનું સાધન એવી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે દરિયાકાંઠાના ખેડૂતોની અને ખેતમજૂરી પર આધાર રાખનારી એક નવી પેઢીમાં જીવનનિર્વાહને લઈને ચિંતા વધી ગઈ છે.
નવસારી જિલ્લામાં એક તરફ દરિયાઈ ભરતીના પાણી ગ્રામ સંરક્ષણ દીવાલો તોડીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. સાથે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓની ઉણપ અને સક્ષમ ચેકડેમો બનાવવા તરફનું સરકાનું ઉદાસીન વલણના કારણે દર વર્ષે કરોડો ગેલન પાણી સંગ્રહ વિના જ દરિયામાં વહી જાય છે અને પાકને પિયતના ખરા સમયે પાણીની તંગી સર્જાય છે. વરસાદના મીઠા પાણીનો વ્યય અને જળસંગ્રહની ખામી ભરેલી નીતિ જમીનનો બગાડ કરવામાં મહત્વનું કારણ બની રહ્યું છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો જમીનને નવસાધ્ય બનાવવા તરફ ધ્યાન આપવાની અપીલ કરી રહ્યા છે.
પર્યાવરણ બચાવવું હોય તો જમીનની જાણવણી અતિ મહત્વની જવાબદારી બની ગઈ છે. જમીન તંદુરસ્ત હશે તો સારું ઉત્પાદન થશે અને પર્યાવરણ જાળવણીમાં મદદ મળશે. ત્યારે દરિયાકાંઠાના દરેક જાગૃત નાગરિકે જમીન માં ઘટી રહેલા ફળદ્રપ તત્વો થી સભાન થઈને વોટર હાર્વેસ્ટિંગ ખેતતલાવડી દ્વારા વરસાદી પાણીના સંગ્રહને વેગ આપવો પડશે. કેમ કે દરિયાની ખારાશ વધતી અટકાવવા માટે વરસાદી પાણીના જળસંગ્રહ સિવાય બીજો કોઈ ઠોસ ઉપાય નથી.