17 જાન્યુઆરીએ પોષી પૂનમ હોવાથી અંબાજી, ખેડબ્રહ્મા,શામળાજી,ડાકોરના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોષી પુનમે મંદિરો રહેશે બંધ
અંબાજી બાદ બીજા ત્રણ મંદિરોએ લીધો નિર્ણય
ખેડબ્રહ્મા,શામળાજી,ડાકોરના મંદિરો બંધ રહેશે
કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે રાજ્યના અનેક મોટા મંદિરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં એક બાદ એક મંદિરના સંચાલકોએ વધતા સંક્રમણને લઈ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.ગત રોજ અંબાજી ટ્રસ્ટે પોષી પૂનમના દરેક કાર્યક્રમો રદ કરી મંદિરને 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે રાજ્યના બીજા ત્રણ મોટા મંદિરોએ પણ આ પ્રકારનો નિર્ણય લઈ પૂનમના રોજ મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેમાં ખેડબ્રહ્મા ખાતેના અંબિકા મંદિરને પણ 8 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.ખેડબ્રહ્માનુ મંદિર 23 જાન્યુઆરી બાદ ખોલવામાં આવશે.આ સીવાય ડાકોરના રણછોડરાયના મંદિર તથા શામળાજીનુ મંદિર પણ પોષી પૂનમ એટલે કે 17 જાન્યુઆરીએ બંધ રહેશે.પરંતુ ડાકોર અને શામળાજીનુ મંદિર 18 જાન્યુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે.
અંબાજી મંદિરના કપાટ કોરોનાના કારણે બંધ
કોરોના સંક્રમણ વધતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે 15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રહેશે, ગબ્બર શક્તિપીઠના કપાટ પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. 17 જાન્યુઆરીએ યોજાનારી પોષી પુનમમાં યોજાતી માતાજીની શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા રદ કરી દેવામાં આવ્યા છે. પણ આરતીનું લાઇવ પ્રસારણ જોઈ શકાશે.
ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર પણ બંધ
કોરોનાના લીધે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટે પણ નિર્ણય લીધો છે. આજથી ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર 8 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. પોષી પૂનમે અન્નકુટ થશે સાથે જ પૂજન અર્ચન અને આરતી બંધ બારણે થશે. 23મીથી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલશે.
ડાકોરનું રણછોડરાય મંદિર પૂનમના દિવસે રહેશે બંધ
ડાકોરના રણછોડરાયના મંદિરને પૂનમના દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..મંદિરના ટ્રસ્ટે 17 જાન્ચુઆરી એટલે કે પૂનમના દિવસે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.રાજ્યભરમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ હોવાથી ટ્ર્સ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે..પૂનમના દિવસે મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય છે.જેથી સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી જાય છે.આથી 17 જાન્યુઆરીના રોજ મંદિર બંધ રખાશે..ત્યાર બાદ 18 તારીખથી રાબેતા મુજબ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
આજ તારીખે શામળાજી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ
ડાકોર બાદ શામળાજી મંદિર પણ બંધ રાખવાનું ફરમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ શામળાજી પહોંચતા હોય છે ત્યારે પોષી પૂનમના દિવસે શામળાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંગળવારથી રાબેતા મુજબ ભક્તો દર્શન કરી શકશે.