જન્માષ્ટમી પર્વની ઘડીઓ ઘડાઈ રહી છે.દર વર્ષે ભારે ઉત્સાહ અને આનંદભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જોકે કોરોના મહામારીના કારણે કચ્છમાં આહીર સમાજે જન્માષ્ટમીની ઉજવણી ઘરબેઠા કરવાનો નિર્ણય લીધો છે.
આહીર સમાજનો મહત્વનો નિર્ણય
કોરોના મહામારીને લઇને નિર્ણય
ઘરમાં જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીનો નિર્ણય
ક્ચ્છ-પાટણ આહીર સમાજ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં કચ્છના વ્રજવાણી સહિત 160થી વધુ આહીર સમાજના ગામોએ સંયુક્ત રીતે ઉજવણી નહિ કરવાનો નિર્ણય કર્યો છે.
ઘરમાં જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે
ઉલ્લેખનીય છે કે, ઘરમાં જ કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવશે. કચ્છના વ્રજવાણી એટલે કે જે ગામ પરથી હેલારો ફિલ્મનું નિર્માણ થયું છે તે ગામ પણ આહીર સમાજનું છે. ત્યાં પણ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.
અમદાવાદનું પ્રખ્યાત ઇસ્કોન મંદિર પણ રહેશે બંધ
આવતીકાલે જન્માષ્ટમી છે, જો કે તહેવારો પર કોરોના હાવી હોવાના કારણે મંદિરો ભક્તો માટે બંધ રહેશે. અમદાવાદનું પ્રખ્યાત ઇસ્કોન મંદિર જન્માષ્ટમી અને નોમના દિવસે બંધ રહેશે. જો કે ભક્તો માટે ઓનલાઈન દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પરથી ઓનલાઈન દર્શન કરી શકાશે
ભક્તો ઇસ્કોન મંદિરના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે. મંદિરમાં સવારે 4.30 કલાકે મંગળા આરતી, 7.30 કલાકે ભગવાનના નવા વસ્ત્રોનો શૃંગાર, રાત્રે 11.30 કલાકે મહાઅભિષેક, 12.30 કલાકે મહાઆરતી કરવામાં આવશે. તો દિવસ દરમિયાન સંગીત અને વૃંદના કાર્યક્રમ શરૂ રહેશે.
દ્વારકાધીશ મંદિર ઝળહળી ઉઠ્યું
જન્માષ્ટમી પર્વ નિમિત્તે તૈયારીઓ પૂર્ણ થઇ છે. દ્વારકાધીશ મંદિર લાઈટ ડેકોરેશન સાથે ઝગમગી ઉઠ્યું છે. પૂજારી પરિવાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભક્તો સોસીયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી શકશે. કાલે મંદિર પરિસરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. રાત્રીના 12 થી 2 વાગ્યા સુધી જન્મોત્સવ ચાલશે. શ્રીજીના જન્મોત્સવની આરતીના દર્શન 12 કલાકે થશે. જ્યારે રાત્રીના 2 વાગે મંદિર દર્શન બંધ કરવામાં આવશે.