ગુજરાતમાં કોરોનાના કેસ વધતા કલા મહાકુંભ મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઓમીક્રોન અને કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
ગુજરાતમાં વધુ એક કાર્યક્રમ મોકૂફ
કલા મહાકુંભ મોકૂફ રાખવા નિર્ણય
કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા નિર્ણય
રાજ્યમાં એકબાદ એક સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે.કોરોનાના કેસ વધતા વાઇબ્રન્ટ સમિટ, ફ્લાવર શો, અને કાઇટ ફેસ્ટિવલ બાદ કલા મહાકુંભ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુવક સેવા અને સાંસ્કૃતિક કમિશ્નરે જાહેરાત કરીને જણાવ્યુ છે કે રાજ્યમાં કોરોના અને ઓમીક્રોનના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલા મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો ક્યાંય ક્યાંયથી ભાગ લેવા આવી પહોંચે છે. જેથી સતર્કતાના ભાગરુપે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મહત્વનુ છે કે જાન્યુ-2022થી કલા મહાકુંભ શરૂ થવાનો હતો.
કલા મહાકુંભ-2021-22 મોકૂફ
કલા સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર ના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે કલા મહાકુંભ યોજવામાં આવે છે. જેમાં કુલ ૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના એમ કુલ ચાર વયજૂથમાં સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ એમ કુલ ૯ સ્પર્ધાઓ, જિલ્લા કક્ષાએ સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દૂહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓર્ગન કુલ ૮ સ્પર્ધાઓ, પ્રદેશકક્ષાએ ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગિટાર, વાયોલીન એમ કુલ ૬ સ્પર્ધાઓ અને રાજ્ય કક્ષાએ પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભાવી, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજવામાં આવે છે.
સરકારે વાઇબ્રન્ટ સમિટ, ફલાવર શો અને પતંગોત્સવ પણ મોકૂફ
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
14346 એક્ટિવ કેસ અને 29 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 44 હજાર 856ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યારસુધીમાં 8 લાખ 20 હજાર 383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.