ગુજરાતમાં સુરત,અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં આજ દિન સુધી ૧૧,૪૬૪ કોરોનાના પોઝીટીવ ઍક્ટિવ કેસ છે, આવામાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને ૨૦ જુલાઈથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મંદિરની સાથો સાથ ડાકોરમાં બજારો પણ હવે ૧ વાગ્યે બંધ કરી દેવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યાં છે. કહેવામાં આવે છે કે ડાકોરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતનું આ પ્રસિદ્ધ યાત્રાધામ 20 જુલાઈથી બંધ
બજારો પણ 1 વાગ્યાથી નહીં ખૂલે
શ્રાવણ મહિનામાં બદલાયો સોમનાથ મંદિરનો સમય
ઉલ્લેખનીય છે કે, એક બાજુ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને બીજી બાજુ હિંદુઓમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે મંદિર પ્રસાશન દ્વારા મંદિરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 408 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી હાલ 242 દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 14 કોરોના દર્દીઓના મોત થયા છે. છેલ્લાં અઠવાડિયાની વાત કરીએ તો 135 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. આવામાં તહેવારની સીઝનમાં ડાકોર મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી શકે છે.
આપને જણાવી દઈએ કે, દર વર્ષે શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં રણછોડરાયના દર્શન કરવા જાય છે, ત્યારે કોરોનાકાળમાં શ્રદ્ધાળુઓની સ્વાસ્થ્યની ચિંતા કરીને મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મહેસાણા અને ઊંઝામાં પણ બજારો અઠવાડિયા માટે બંધ
બીજીબાજુ કોરોનાના વધતા સંક્રમણને લઈને મહેસાણાના ઊંઝામાં વેપારી એસોસીએસન દ્વારા તારીખ ૨૦ થી ૨૭ જુલાઈ સુધી તમામ બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતાં કેસો ને લઈને વેપારી એસોસીએસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
શ્રાવણ મહિનામાં બદલાયો સોમનાથ મંદિરનો સમય
સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને મંદિરના સમયમાં અમુક ફેરફાર કર્યા છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોવાથી સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ,રવિ,સોમ અને તહેવારના દિવસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભકતોને સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શનનો લાભ મળશે.
શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, સોમનાથ મંદિરમાં સામાન્ય દિવસોમાં દર્શનનો સમય સવારે 7:30 થી 11:30 સુધીનો અને બપોરે 12:30 થી 6:30 વગયા સુધીનો હોય છે.
તેમજ મંદિરમાં સવારે 7.00, બપોરે 12.00 અને સાંજે 7.00ની આરતી થાય છે પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે હાલ આરતીમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત મંદિરમાં પણ સામાજીક અંતરના પાલન સાથે અમુક માત્રામાં જ શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે. મંદિર દ્વારા બહાર માસ્ક માટે વિશેષ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.