અમદાવાદમાં કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં ફરી વધારો કરાયો, SVPમાં 500 બેડ અને GCSમાં 160 બેડ વધારાયા
અમદાવાદમાં કોરોનાની બીજી કહેર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવ્યું એક્શનમાં
કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા ફરી વધારાઈ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC એકશનમાં આવ્યું છે. કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં ફરી વધારો કરાયો છે. મહત્વનું છે કે, અમદાવાદની સ્થિતિ રોજબરોજ ખરાબ થઈ રહી છે. જેનું એક ઉદાહરણ અમદાવાદની સરકારી હોસ્પિટલો કોરોનાના કેસથી ઉભરાઈ રહી છે. હાલ 100માંથી 30 અમદાવાદી કોરોના પોઝિટીવ આવી રહ્યા હોવાનો ક્યાસ મંડાઈ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે. 1200 બેડની હોસ્પિટલમાં ICU બેડની અછત ઉભી થઈ છે. હોસ્પિટલ તંત્રએ SRP અને પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે. બેડ ન મળતા દર્દીઓના પરિવારજનો હોબાળો ન કરે તે માટે બંદોબસ્ત માંગ્યો છે. સિવિલમાં મોડી રાતથી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. તેવા સમયમાં તંત્રએ નવો નિર્ણય કર્યો છે.
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્રએ કામગીરી હાથ ધરી છે. રાજકોટ હોસ્પિટલની બહાર પણ એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિવેદન કર્યુ હતું અને તેમણે જણાવ્યું છે કે ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમરસ હોસ્પિટલ ખાતે 500 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ 250 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. કેન્સર હોસ્પિટલ ખાતે 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાશે. નોન કોવિડ દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં સારવાર કરાશે. રેલવે હોસ્પિટલમાં ઓપરેશન સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. ઑક્સિજનના વપરાશમાં વધારો થયો છે. ઓક્સિજનની ઘટ પડવા દેવામાં આવે નહીં. તેમજ ભાવનગરથી 20 વેન્ટિલેટર રાજકોટને મળ્યા છે.
વડોદરામાં એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરાયો
વડોદરામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે વડોદરાને વધુ ત્રણ 108 એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. હાલમાં શહેરના ચાર ઝોનમાં કુલ 27 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં ગ્રામ્યમાં 12 એમ્બ્યુલન્સ કાર્યરત છે તથા SOG હોસ્પિટલમાં 4 એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓ માટે તૈનાત કરવામાં આવી છે. આ સાથે વડોદરામાં રોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જાગૃતતા દેખાઈ રહી છે. શહેરમાં વહેલી સવારથી જ લોકો રેપીડ ટેસ્ટ કરાવવા માટે ટેસ્ટિંગ ડોમ બહાર લાઈન લગાડી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, મનપા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં 11 ડોમ અને 34 અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.