દેશ દુનિયામાં કોરોના વાયરસથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કેટલાક લોકો તો હજુ પણ પોતાના ઘરથી દૂર અન્ય દેશોમાં ફસાયેલા છે અને સાથે કેટલાકની કોરોના ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે તે સમયે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આવો એક કેસ દુબઈમાં જોવા મળ્યો છે. દુબઈમાં રહેતા તેલંગાણાના એક ગરીબ વ્યક્તિ ઓદનલા રાજેશને 3 મહિના પહેલાં કોરોના થયો હતો. ત્યારથી તેની સારવાર દુબઈની હોસ્પિટલમાં કરવામાં આવી. જ્યારે તેને ડિસ્ચાર્જ કરવાનો સમય આવ્યો ત્યારે તેની પાસે રૂપિયા ન હતા. એવામાં હોસ્પિટલે તેના 1.52 કરોડનું બિલ માફ કર્યું. એટલું જ નહીં હોસ્પિટલે તેની ટિકિટ કરાવી આપી અને તેને ભારત મોકલ્યો. આ સમયે તેઓએ રાજેશને 10000 રૂપિયા પણ આપ્યા હતા.
દુબઈની હોસ્પિટલે કોરોના સંકટમાં કર્યું બિરદાવવા લાયક કામ
ગરીબ દર્દીનું 1.5 કરોડ રૂપિયાની સારવારનું બિલ કર્યું માફ
ભારત આવવાની ટિકિટ કરાવી આપીને આપ્યા 10000 રૂપિયા પણ
તેલંગાણામાં જગીતાલમાં રહેનારા ઓદનલા રાજેશને દુબઈની એક હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાના કારણે એડમિટ કરવામાં આવ્યો હતો. અહીં લગભગ 80 દિવસ સુધી તેની સારવાર ચાલી અને તે હવે સ્વસ્થ થયો હતો. હોસ્પિટલે તેને રજા આપતાં પહેલાં 1.52 કરોડ રૂપિયાનું બિલ ભરવાનું કહ્યું હતું.
મળતી માહિતી અનુસાર આ દર્દીને હોસ્પિટલમાં ગલ્ફ પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષે એડમિટ કરાવ્યો હતો. તેઓ સતત રાજેશના સંપર્કમાં પણ હતા. તેઓએ
હોસ્પિટલના બિલ અને રાજેશની સારવાર માટે દુબઈની ભારતીય વાણિજ્ય દૂતાવાસના ઓફિસરને પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ એક વધુ અધિકારીનો સંપર્ક પણ કર્યો. તેઓએ આ હોસ્પિટલના મેનેજમેન્ટને પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે તેઓએ માનવીય આધારે ગરીબ રાજેશનું બિલ માફ કરવાનો આગ્રહ કર્યો. આ સમયે હોસ્પિટલે તેમના આગ્રહનું માન રાખ્યું અને રાજેશનું બિલ માફ કર્યું.
ઉલ્લેખનીય છે કે રાજેશ અને તેના એક સાથીને ફ્રી ટિકિટ પણ આપવામાં આવી અને સાથે ખર્ચ પેટે 10,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. મંગળવારે રાતે પોતાના ગૃહનગર આવેલા રાજેશને એરપોર્ટ પર અધિકારીઓએ રિસીવ પણ કર્યા અને પરિવાર સુધી પહોંચાડ્યા. હાલમાં તેને 14 દિવસ માટે ક્વૉરન્ટાઈન કરાયા છે.