અમદાવાદ સહિત રાજ્યભરના એક આંખની તકલીફવાળા લોકો માટે રાહતના સમાચાર છે કે તેઓ હવે આરટીઓમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા હકદાર બનશે. એક આંખની દૃષ્ટિ ધરાવતી વ્યકિતને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકે તે માટે કેન્દ્ર સરકારે ર૦૧૭માં આદેશ કર્યો હતો જેનો બે વર્ષ પછી રાજ્ય સરકારે હવે અમલ કરતાં રાજ્યભરના હજારો અરજદારોને લાઇસન્સ વગર હાલાકી વેઠવી પડશે નહીં.
રાજ્ય સરકારના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરાયા મુજબ અમદાવાદ સહિત દરેક આરટીઓ કચેરીમાં હવે એક આંખ ધરાવતી વ્યકિતને નોન ટ્રાન્સપોર્ટ કાર અને મોટર સાઇકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવા આદેશ કરાયો છે.
અત્યાર સુધી આવી વ્યકિતઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મળતું નહોતું. આવા અનેક અરજદારોએ વિકલાંગ વિભાગમાં ફરિયાદ કરતાં વાહન વ્યવહાર વિભાગને તાત્કાલિક ધોરણે આ આદેશ માનવાની ફરજ પડી છે.
અમદાવાદના જ ૪,૦૦૦ જેટલા લોકોને આ લાભ મળશે. તેના માટે અરજદારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશેે. જેવા કે એક આંખ ગુમાવ્યાને ઓછામાં ઓછા છ માસ થયા હોવા જોઇએ. તેની બીજી આંખ ૧ર૦ ડિગ્રી જોઇ શકે તેવું વિઝન ધરાવતી હોવી જોઇએ. બીજી આંખનું વિઝન ૬/૧ર હોવું જરૂરી છે.
આ સાથે જ સરકારી હોસ્પિટલના આંખના વિભાગના ડોકટરનું સર્ટિફિકેટ અરજદારે લાઇસન્સની અરજી સાથે જોડવું પડશે. લાઇસન્સ મેળવવા માટે અરજદારે ઓનલાઇન ફોર્મ ભરી આરટીઓમાં ફી ભરીને કમ્પ્યૂટર ટેસ્ટ આપવો પડશે. કમ્પ્યૂટર ટેસ્ટમાં પાસ થયા બાદ વાહન ટેસ્ટ કોઇ પણ સહારા વગર આપવો પડશે. ત્યાર પછી તે લાઇસન્સ મેળવવાને હકદાર બનશે.