વાહન વ્યવહાર વિભાગ રાજ્યભરમાં ડ્રાઈવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે ફરિજયાત મર્જ કરવા જઈ રહ્યો છે, જેની ખૂબ જ ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, સાથે-સાથે અકસ્માત કરીને છૂટી જતા વાહનચાલક માટે આકરા નિયમ પણ જાહેર થઈ રહ્યા છે.
અત્યાર સુધી અકસ્માત કર્યા બાદ વાહનચાલકનું લાઇસન્સ રદ કરવામાં આવે તો તે ફરી નવું લાઇસન્સ કઢાવી લે છે, પરંતુ ડ્રાઈવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે જોડી દેવાથી આવું નહીં થઇ શકે. આધાર સાથે જોડી દીધા બાદ વાહનચાલક ત્રણ વખત અકસ્માત સર્જે તો તેનું લાઇસન્સ હંમેશાં માટે બ્લોક કરી દેવાશે.
ત્યાર પછી તે બીજું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવાની કોશિશ કરશે તો તે સફળ થઇ શકશે નહીં, કારણ કે નવા લાઇસન્સની અરજી કરવાથી તે વ્યક્તિનો ભૂતકાળનો રેકોર્ડ તેમાં ઓન સ્ક્રીન દેખાઈ જશે. વારંવાર અકસ્માત સર્જીને છટકવામાં સફળ થઈ જતા વાહનચાલકો માટે નવા નિયમો લાલબત્તી સમાન હશે.
ખાસ કરીને નશો કરેલી હાલતમાં ગમે ત્યારે અકસ્માત સર્જીને ભાગી જનારા વાહનચાલકો હવે નવા કડક નિયમો અમલી થતાં કાયદાની ચુંગાલમાંથી છટકી શકશે નહીં. વાહન વ્યવહાર વિભાગનાં આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે કે છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર(ટ્રાફિક)ના નિયમોમાં ફેરફાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી નહીં હોવાના કારણે નિયમભંગનું પ્રમાણ વધે છે અને અકસ્માત પણ વધ્યા છે.
વાહનચાલક નશો કરેલી હાલતમાં જો અકસ્માત સર્જશે અને અકસ્માત પામેલ વ્યક્તિનું મૃત્યુ થશે તો વાહનચાલક સામે તેની હત્યાનો ગુનો દાખલ કરાશે. હવેથી કોઇ પણ અકસ્માતમાં પાંચથી વધુનાં મોત થશે તો આરટીઓ કે એઆરટીઓ ઘટનાસ્થળે થઇ ચેકિંગ કરશે. તેમની સાથે એનએચ-૮, ઇમર્જન્સી-૧૦૮ અને પોલીસ પણ ઘટનાસ્થળે જશે અને અકસ્માતનું તારણ મેળવશે. ત્યારબાદ આ રિપોર્ટને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં મૂકવામાં આવશે, જેના ઉપર ચર્ચા-વિચારણા થશે.