ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પૂરી થયેલી પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં વિરાટ કોહલી બહાર જતા બોલ પર છેડછાડ કરીને આઉટ થયો. ડ્રાઇવ શોટ કોહલી માટે જાણે કે કાળ બની ગયો છે.
સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં કોહલી ડ્રાઈવ શોટ રમ્યો અને થયો આઉટ
પ્રથમ ઇનિંગ્સમાં ૩૫ અને બીજી ઇનિંગ્સમાં ૧૮ રન બનાવ્યાં
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કોહલી અંગે આપ્યું નિવેદન
૨૦૨૧માં વિરાટ આ ૧૦ વાર વિદેશી પીચ પર આ શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો છે. સેન્ચુરિયન ટેસ્ટમાં વિરાટ પ્રથમ ઇનિંગ્સમાં ૩૫ અને બીજી ઇનિંગ્સમાં ૧૮ રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો.
ટીમ ઈન્ડિયાના બેટીંગ કોચે વિરાટ અંગે આપ્યું નિવેદન
વિરાટ કોહલી કવર ડ્રાઇવ અથવા ઓફ ડ્રાઇવ કરવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે. આ અંગે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડને સવાલ પૂછવામાં આવ્યો હતો, તેના જવાબમાં વિક્રમે જણાવ્યું, ''આ શોટથી જ તેણે ઢગલો રન બનાવ્યા છે અને આ રન બનાવનારા શોટ છે. તેણે આ શોટ રમવા જ જોઈએ, પરંતુ મને લાગે છે કે જે તમારો મજબૂત પક્ષ છે તે હાલ તમારી નબળાઈ બની ગયો છે. તેણે આ શોટ રમતી વખતે વધુ સારા બોલની પસંદગી કરવી જોઈએ.''
વિરાટે પ્રથમ ઈનિંગમાં 35 રન બનાવ્યાં
સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટે ૯૪ બોલનો સામનો કરીને ૩૫ રન બનાવ્યા. આનો અર્થ એ થયો કે તે ક્રીઝ પર બરોબર સેટ થઈ ગયો હતો, પરંતુ તેણે એન્ગિડીના બહાર જતા બોલ પર બેટ ચલાવ્યું અને બોલ સેકન્ડ સ્લિપમાં ઊભેલા ફિલ્ડર પાસે કેચના રૂપમાં પહોંચ્યો અને વિરાટ આઉટ થઈ ગયો. એન્ગિડીએ તેને આઠ બોલની જાળમાં ફસાવ્યો હતો. ૬૭મી ઓવરમાં કોહલીએ બોલિંગ કરી, જેમાં બધા બોલ તેણે ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યા. ત્રીજા બોલને કોહલીએ છોડી દીધો. એન્ગિડીએ ચોથો બોલ પણ એવો જ ફેંક્યો, જેને કોહલીએ ફરીથી છોડી દીધો. એન્ડિગી પાંચમાં બોલ થોડો અંદરની તરફ લાવ્યો અને છઠ્ઠો બોલ ફરી ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો, જેને કોહલીએ છોડી દીધો હતો.
ડ્રાઇવ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને કોહલી થયો આઉટ
ત્યાર બાદ એન્ગિડી ૬૯મી ઓવરમાં ફરી બોલિંગ કરવા આવ્યો. તેણે પ્રથમ બોલ બહારની તરફ ફેંક્યો, જે ડોટ રહ્યો. પછી બોલ પણ એન્ગિડીએ ઓફ સ્ટમ્પની બહાર જ ફેંક્યો અને આ વખતે કોહલીએ ડ્રાઇવ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તે આઉટ થઈ ગયો. ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર વારંવાર વિરાટ કોહલીના આઉટ થવા અંગે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે જણાવ્યું, ''વિરાટને ફ્રન્ટફૂટ પર રમવું વધુ પસંદ છે. તે આગળ વધીને રમે છે. પોતાના પાછલા પગનો ઉપયોગ કરતો નથી. આફ્રિકાની પીચ પર ફક્ત ફ્રન્ટફૂટ પર તમે નિર્ભર રહી શકો નહીં. કોહલીએ બેકફૂટ પર જઈને રમવાની જરૂર છે. જો તે આવું કરશે તો જરૂર મોટો સ્કોર બનાવવામાં સફળ રહેશે.
સુનીલ ગાવસ્કરે વિરાટની નબળાઈ ઉપર ફેંક્યો હતો પ્રકાશ
ગત ઓગસ્ટમાં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન વિરાટ સતત બહારના બોલ પર આઉટ થયા બાદ વિરાટની આ મહામુશ્કેલી અંગે ભારતના એક સમયના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિરાટની આ નબળાઈ ઉપર પ્રકાશ ફેંક્યો હતો. ગાવસ્કરે જણાવ્યું હતું, ''તે વધુ પડતો ફ્રન્ટફૂટ પર નિર્ભર થતો નજરે પડી રહ્યો છે. ફ્રન્ટફૂટ પર બેટને ડ્રોપ કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. જો તમે થોડા બેકફૂટ પર રમતા રહો તો તમે નેનો સેકન્ડમાં તમારા કાંડાને ડ્રોપ કરીને બોલથી તમારી જાતને અલગ કરી શકો છો.'' ઉલ્લેખનીય છે કે વિરાટે છેલ્લે ૨૦૧૯માં કોલકાતા ખાતે બાંગ્લાદેશ સામે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. એ વાતને બે વર્ષ થઈ ગયાં છે, પરંતુ તેના બેટમાંથી હજુ એક પણ સદી નીકળી નથી.