અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાનાં લાલપુર ગામનાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાય છે જ્યારે ચોમાસામાં ડુંગર ઉપરથી આવતા પાણીનાં નિકાલની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત છે. છતાં યોગ્ય આયોજનનાં અભાવે મહિલાઓને પીવાનાં પાણી માટે બે કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવી પડે છે.
અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકામાં આવેલા શામપુર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારનાં લાલપુર ગામે પીવાનાં પાણીની સમસ્યા વિકટ બની છે. લાલપુર ગામ ડુંગરની તળેટીમાં આવેલું ગામ છે. ગામનાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ગામમાં પીવાનાં પાણી માટે સરકાર દ્વારા સંપ તો બનાવાયો છે પરંતુ તેમાં જે નર્મદાનું પાણી આવે છે તે પાણી પીવાલાયક નહીં હોવાંથી ગ્રામજનો પરેશાન છે. આ ગામનાં લોકો છેલ્લાં 10 વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પીવાલાયક પાણી માટે મહિલાઓને 2 કિલોમીટર સુધી દૂર ચાલીને જવું પડે છે. જેથી પાણી સમસ્યાથી ત્રસ્ત ગામની મહિલાઓ ગામમાં માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનો માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી પાણીની સમસ્યા હલ કરાય તેવી માંગ કરાઈ હતી.
લાલપુર ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું ગામ છે. ગામનાં લોકો વર્ષોથી પાણીની સમસ્યાને કારણે પરેશાની ભોગવી રહ્યાં છે. ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા છે. જ્યારે ચોમાસામાં ડુંગર ઉપરનું પાણી ગામમાં વચ્ચે થઇ વહેતું હોવાંથી ગ્રામજનો પરેશાન છે. ત્રણ વર્ષ અગાઉ આ પાણીને કારણે મોટું નુકશાન પણ થયું હતું. ત્યારે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા ઉદભવતા ગ્રામજનો નીચે રહેવા મજબુર બન્યાં છે.
ગામની આ સમસ્યા અંગે મામલતદારનાં રાત્રી રોકાણ કાર્યક્રમમાં પણ રજૂઆત કરાઈ હતી. ત્યારે તંત્ર દ્વારા પણ આ સમસ્યાનાં ઉકેલ માટે હૈયાધારણ આપવામાં આવી હતી. પરંતુ ચૂંટણી માથે છે ત્યારે પણ આ સમસ્યાનું કોઈ નિરાકણ આવ્યું નથી. સરપંચનું કહેવું છે કે, પંચાયત દ્વારા સમસ્યા ઉકેલની દિશામાં સતત પ્રયત્નો ચાલુ છે. ચૂંટણી નજીક છે ત્યારે માલપુરનાં લોકોને એવી આશા બંધાઈ છે કે કોઈક નેતાનાં ધ્યાન પર ગામની સમસ્યા આવશે. આથી જ તો ગ્રામજનોએ પણ તક જોઈને સમસ્યાને વાચા આપવા વિવિધ કાર્યક્રમો ઘડી રહ્યાં છે. આખરે સવાલ થાય છે કે તંત્રનાં વાકે લાલપુર ગામનાં નાગરિકો ક્યાં સુધી પરેશાની ભોગવશે?