કરાડ ડેમમાંથી રોજ ઘોઘંબા તાલુકાના 15 ગામ તેમજ કાલોલ તાલુકાના 14 ગામને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.
કરાડ ડેમમાંથી રોજ અપાય છે સિંચાઈ માટે પાણી
ડેમમાં પાણી હોવા છતાં આસપાસના ગામમાં પાણીની સમસ્યા
કરાડમાંથી પીવા માટે નથી અપાતું પાણી
ગુજરાતમાં પાણીને લઈને કકળાટ શરૂ થયા છે.ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પંચમહાલ જિલ્લામાં આવેલા ડેમોમાં પાણીની સ્થિતિના રિયાલિટી ચેક પહોંચ્યું હતું.અને ઘોઘંબા વિસ્તારમાં આવેલા કરાડ ડેમની મુલાકાત લીધી હતી.તો અહીં જાણવા મળ્યું કે, સિંચાઈ અને પીવાના પાણીના પુરતા જથ્થાના દાવાઓ વચ્ચે અનેક ગામડાઓ સિંચાઈ અને પીવાના પાણીથી વંચિત છે.ત્યારે શું છે ડેમમાં પાણીની સ્થિતિ.અને કેવી છે લોકોની પરેશાનીઓ આવો જોઈએ.
ડેમની આસપાસના ગામોમાં જ પાણીની સમસ્યા
પંચમહાલના ઘોઘંબામાં આવેલા કરાડ ડેમના આ દ્રશ્યો જુઓ.. પહેલી નજરે તો આ મનમોહક દ્રશ્યો તમારું મન હરી લેશે.કારણ કે, લીલીછમ હરિયાળી અને પહાડોની વચ્ચે આવેલો આ ડેમ.અને તેની અંદરના નાના-નાના ટાપું અને ટાપુની ફરતે પાણી.પહેલી નજરે જ અહીં ફરવા જવાનું મન થઈ જાય.પરંતુ અહીં સ્થિતિ એ છે કે, ડેમમાં પાણી હોવા છતાં ઘોઘંબાના અનેક ગામડાઓ પાણી માટે તરસી રહ્યા છે.નવાઈની વાત એ છે કે, ડેમની નજીકમાં 10 કિલોમીટરમાં આવેલા ગામડાઓ પણ પાણી માટે તરસી રહ્યા છે.
પાણીનો પોકાર યથાવત
વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે કરાડ ડેમની નજીકમાં જ આવેલા પાલ્લા ગામની મુલાકાતે પહોંચી તો જાણવા મળ્યું કે, અહીંના લોકોની હાલત ખુબ ખરાબ છે.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, તેમને કરાડ ડેમમાંથી સિંચાઈ માટે અને પીવા માટે પાણી નથી મળતું.સિંચાઈ માટે પણ આખું વર્ષ ચોમાસાના પાણી પર નિર્ભર રહેવું પડે છે.ડેમનું પાણી ન મળતા ખેડૂતો કુવા અને બોરવેલ પણ રિચાર્જ નથી કરી શક્તા.જેના કારણે આજે કુવા અને બોરવેલમાં પાણી નથી રહ્યાં.ગામમાં હેડપંપો પણ બંધ પડ્યા છે. જેથી પાણી માટે દૂર-દૂર સુધી રઝળપાટ કરવો પડે છે..
14 ગામને સિંચાઈનું પાણી પૂરું પાડે છે ડેમ
કરાડ ડેમની જો વાત કરવામાં આવે તો.કરાડ ડેમને 1956-57માં ઘોઘંબાના પલ્લા વિસ્તારમાં બનવાવવામાં આવ્યો હતો.આ ડેમની મુખ્ય નહેરની લંબાઈ 93.71 કિલોમીટરની છે.જેમમાંથી ઘોઘંબા તાલુકાના 15 ગામ તેમજ કાલોલ તાલુકાના 14 ગામને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે આ યોજના માંથી માત્ર સિંચાઈનું પાણી જ પૂરું પાડવામાં આવે છે. પાણી હોવા છતાં અન્ય ગામડાઓ સુધી આ યોજનાનું પાણી નથી પહોંચતું.બીજી તરફ પીવાના પાણીની તકલીફ હોવા છતાં આ ડેમમાંથી કોઈપણ પ્રકારની પીવાના પાણીની યોજના નથી શરૂ કરાઈ.ડેમની આસપાસના લોકો પીવા માટે પુરતું પાણી મળી રહે તેવી માગ કરી રહ્યા છે.જોકે પાણી મુદ્દે ડેમના અધિકારીઓનું શું કહેવું છે આવો તે પણ પણ સાંભળીએ.
પીવાના પાણી માટે સરકાર યોજના લાગે તેવી માગ
અધિકારીના મતે હાલ ડેમમાં 45 દિવસ ચાલે તેટલું પાણી છે.અને રોજ 100 ક્યુસેક પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે..જોકે ઉનાળું પાકની લણણીને હવે એક મહિનાની જ વાર છે.તેવામાં ડેમમાં સિંચાઈ સિવાયનું પણ પાણી વધશે.અને કેટલાક વર્ષોથી ડેમ દર વર્ષે ફૂલ ભરાઈ જાય છે.ત્યારે આશા રાખીએ કે, આસપાસના ગામડાઓમાં જ્યાં પણ પીવાના પાણીને લઈને મુશ્કેલીઓ વર્તાઈ રહી છે.ત્યાં સરકાર આ યોજના થકી પીવાનું પાણી મળી રહે તેવું કાંઈક આગામી આયોજન કરે.જેથી અહીં પાણીની સમસ્યા દૂર થાય.અને લોકોની મુશ્કેલીઓનો અંત આવે.