ગુજરાતનું સરી ગામ જ્યાં પાણી પીતા જ લોકો બીમાર પડી જાય છે , 2 હજાર TDS વાળુ આવે છે પાણી, શુદ્ધ પાણીની ગ્રામજનોની માંગ
સરી ગામને ક્યારે મળશે શુદ્ધ પાણી?
2 હજાર TDS વાળુ પાણી પીવું અશક્ય
સરકાર નથી પહોંચાડી શક્યું પાણી
પાણી વિના મનુષ્યની જિંદગી અધૂરી છે. પણ આ વાતને સરકારના અધિકારીઓ સમજવા તૈયાર નથી. અહીં વાત છે એક એવા ગામની. જ્યાં પાણી તો છે પણ તે પીવા લાયક નથી. અને જે વ્યક્તિ એ પાણી પીવે છે તે પડી જાય છે બીમાર
જળ એ જ જીવન. પણ અહીં શુદ્ધ જળના છે ફાંફા
જળ એ જીવન છે. અને જો શુદ્ધ જળ ન મળે તો આ જિંદગી શક્ય નથી. શહેરીજનોને તો પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. પણ હજુ પણ અનેક ગામડાઓ એવા છે જ્યાં સ્થિતિ વિકટ છે. કેટલાક ગામડાઓમાં પીવાનું પાણી નથી મળી રહ્યું. તો ક્યાંક મળે છે પણ પીવા લાયક નથી હોતું. આવા જ એક ગામની વાત કરીએ જ્યાં કૂવો તો છે પણ તેનું પાણી પીવા લાયક નથી. અમદાવાદના સાણંદ તાલુકાના સરી ગામના. જ્યાં ઘર ઘર નળ તો લાગી ગયા પણ સમયસર પાણી નથી આવતું. ગામમાં તળાવ તો છે પણ તેનું પાણી ગંદુ છે. તો એક કૂવો છે જેનું પાણી પીતા જ બીમારી શરૂ થઈ જાય છે.
કૂવાના પાણીમાં છે 2 હજાર TDS
અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકાના ગ્રામ્ય વિસ્તારોની આ જ સ્થિતિ છે. આ ગ્રામ્ય વિસ્તારોના પાણીમાં ક્લોરાઈડ યુક્ત અને ભારે પ્રમાણમાં TDS ધરાવતું પાણી આવી રહ્યું છે. એટલે કે હવે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ ગયું છે. જે પાણી પીવા લાયક નથી. પણ સરી ગામના લોકો કૂવાનું ગંદુ પાણી પીવા માટે મજબૂર છે કેમ કે હજુ સુધી અહીં નર્મદા પાણી પહોંચ્યા નથી. શું છે ગ્રામજનોની મુશ્કેલી તેમના મુખેથી જ સાંભળીએ.
કૂવાનું પાણી છે કેમિકલયુક્ત!
સરી અને મટોડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ભારે TDS અને ક્લોરાઈડ વાળુ પાણી કૂવામાંથી આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે પણ તંત્ર છે કે કાર્યવાહીમાં રસ નથી દાખવતું. અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત પાણી પીવાના કારણે ગ્રામજનોને કીડની, ચામડીના રોગ થાય છે. એટલું જ નહીં પીવા માટે બહારથી વેચાતુ પાણી મંગાવવું પડે છે. પણ ગરીબ લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે.
રિપોર્ટમાં શું આવ્યું?
સામાજિક કાર્યક્ર પ્રફૂલ મહેતાએ આ પાણીનો રિપોર્ટ કરાવ્યો હતો ત્યારે સામે આવ્યું કે કૂવાના પાણીની હાર્ડનેસ 200ના હોવી જોઈએ જે રિપોર્ટમાં 600 આવી છે. અને TDS 500ના સ્થાને 2 હજાર જેટલું નોંધાયું છે. કેલ્શયિમ 75 હોવું જોઈએ જેના બદલે રિપોર્ટમાં 200 આવ્યું છે. જે દર્શાવે છે કે પાણી પીવાલાયક છે જ નહીં. આ રિપોર્ટ અન્ય કોઈ સ્થળે નહીં પણ અમદાવાદના એલિસબ્રિજ જળ ભવનમાં વાસ્મોની લેબોરેટરીમાં કરાવ્યા છે. ગ્રામજનોએ આ અંગે અનેક ફરિયાદો કરી હોવા છતાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિક લોકો આ પાણી પીવા માટે મજબૂર છે.
ગ્રામજનોની મુશ્કેલીનો અંત ક્યારે?
ઔદ્યોગિક એકમો ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સરકાર ગ્રામજનોને નર્મદાનું પાણી પહોંચાડવા મુદ્દે પણ નિરસ હોય તેવું લાગી રહ્યું છે. લોદરિયાથી મટોડા અને સરી સુધી પાણીની લાઈન નાખવાની છે તેમાં પણ અધિકારીઓ આળસ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનોને પાણી મળશે કે નહીં તે મોટો પ્રશ્ર છે. બાળળા-બગોદરા અને ચાંગોદર વિસ્તારમાં ચાલી રહેલા ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યા છે. ત્યારે આ યુનિટો પર પણ સરકારનો કોઈ કંટ્રોલ નથી. તો બીજી તરફ ગ્રામજનો બીમારીઓનો ભોગ બની રહ્યા છે.