રાજ્યમાં ચૂંટણીની ગરમી હવે શમી ગઈ છે. પરંતુ હવે ઊનાળાએ આકરો મિજાજ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. પાણીનાં પોકાર રાજ્યનાં છેવાડાનાં વિસ્તારોમાંથી ઉઠવા લાગે તે સ્વભાવિક છે. ત્યારે અમરેલીનાં લાઠી તાલુકાનાં પીપળવા ગામે પાણીની સમસ્યાએ લોકોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. આ એ વિસ્તાર છે જ્યાંથી ચૂંટાઈને વિધાનસભામાં વિપક્ષનાં નેતા તરીકે પરેશભાઈ ધાનાણી વિકાસનાં મુદ્દે સરકારનો કાન આમળી રહ્યાં છે. પરંતુ તેમનાં જ મતવિસ્તારમાં તો લોકોને પાણી ભરવા કિલોમીટરો સુધી દૂર જવું પડે છે.
ભર ઉનાળાનો આ ધોમધખતો તડકો અને ગામનો આ સૂનકાર. ઉનાળાની આ બળબળતી બપોરે અને વાતા આ લૂના ઉના-ઉના વાયરા વચ્ચે પણ આ ગામની મહિલાઓને ખરા બપોરે પાણી માટે કિલોમીટરો દૂર સુધી જવું પડે છે. ખરી બળબળતી બપોરે હાથમાં પાણીનાં બેડાં લઈને પાણી ભરવા નીકળેલી આ મહિલાઓ અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પીપળવા ગામની છે.
આ ગામમાં પાણીની સમસ્યા તો આખું વર્ષ રહે છે પરંતુ ઉનાળામાં તે વધારે અસહ્ય બની જાય છે. ત્યારે આ ઉનાળાએ તો પાણી માટે ગામની મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ ધંધે લગાડ્યાં છે. ભર ઉનાળે પાણીની સમસ્યા એવી તો અસહ્ય બની છે કે, લોકોએ પાણી વેચાતું લાવવું પડે છે. જો કે પાણી વેચાતું લાવવાની તૈયારી હોવાં છતાં એમ કંઈ ગામમાંથી જ સહેલાઈથી પાણી મળતું નથી. બસોથી અઢી સો રૂપિયા ખરચ્યાં બાદ 1 હજાર લિટર પાણી મળે છે. પરંતુ પાણી મેળવવાં માટે લોકોએ 4 કિલોમીટર દૂર બીજા ગામ સુધી જવું પડે છે. કોઈ છકડો લઈને જાય છે તો કોઈ ટુ વ્હીલર લઈને પાણી લાવે છે.
ઉનાળો આવતાં જ ગામમાં પાણીનાં સોર્સ સૂકાઈ જાય છે. ચાર મહિના પાણી વિના કેમ કાઢવા એ પ્રશ્ન અહીંનાં નાગરિકોને સતાવી રહ્યો છે. મહિલાઓએ ખરા બપોરે પાણીની શોધમાં નીકળવું પડે છે. આમ, તો ઉનાળામાં ગામમાં પાણીનો સોર્સ બચ્યો નથી પરંતુ ક્યાંક સરકારી શાળા કે કોઈ જાહેર સ્થળે થોડી ઘણી માત્રમાં આવતા પાણી પણ આખું ગામ આધાર રાખીને બેઠું છે.
વૃદ્ધો હોય કે બાળકો, મહિલાઓ હોય કે વરિષ્ઠ નાગરિકો દરેક લોકો જે હાથ લાગ્યું તે લઈને જેટલું પણ મળે તેટલું પાણી મેળવવા જહેમત ઉઠાવે છે. ખરાં ઉનાળે પાણીની શોધમાં ઠેર-ઠેર ભટકવા મજબૂર આ ગામનાં નાગરિકો અને મહિલાઓ એક સવાલ પૂછે કે મતદાન કરાવવા માટે ગાડીઓમાં બેસાડીને લાવતા લઈ જતા નેતાઓ અત્યારે ક્યાં ગયાં છે?
ગામનો પ્રાણપ્રશ્ન જેવો પાણીનો પ્રશ્ન દર ઉનાળામાં વરવું રૂપ ધારણ કરી રહ્યો છે. નેતાઓ અહીંથી ચૂંટાઈને જાય છે અને સરકારનાં કાન આમળવાની જવાબદારી પણ અહીં ચૂંટાયેલાં નેતાઓ જ બજાવે છે. છતાં આ ગામનાં લોકોનાં નસીબમાં પાણીની પળોજળ કેટલાંય વર્ષોથી એમ જ લખાયેલી છે. પાણીની તંગીએ માત્ર નાગરિકોનું જ નહીં અહીનાં અબોલ જીવોનું પણ જીવન દુષ્કર બનાવી દીધું છે. ચૂંટણીનું સમાપન થઈ ગયું છે ત્યારે હવે જો અહીનાં નેતાઓને ગામ લોકોની આ સમસ્યા તરફ ધ્યાન આપવા સમય મળે તો આ એક કામ કર્યા જેવું છે. જો આ ગામનાં લોકોનાં આ પ્રાણપ્રશ્નનો ઉકેલ આવશે તો આગામી ચૂંટણીમાં તમારે મત માટે વીનવણી નહીં કરવી પડે.