ધોરાજીમાં શુધ્ધ પાણીની માગ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરી મેદાને આવ્યા છે. જેમાં તેઓ આજે ધોરાજી ડેપ્યુટી કલેકટર ઓફિસ સામે આમરણાંત ઉપવાસ કરશે. મળતી માહિતી મુજબ ધોરાજી, માણાવદર અને કુતિયાણાના 60 ગામો માટે નર્મદાના પાણીની માગ સાથે લલિત વસોયા આમરણાંત ઉપવાસ પર બેસી રહ્યાં છે.
જો કે આ આમરણાંત ઉપવાસમાં તેમની સાથે તેમના સમર્થકો પણ જોડાશે. મહત્વનું છે કે, લલિત વસોયાએ ભાદર-2 ડેમનું પાણી પીવા લાયક નહી હોવાનો પત્ર સરકારને લખ્યો હતો. લલિત વસોયાએ આ પત્રમાં ધોરાજીને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે માંગણી કરી હતી.
જો ચોવીસ કલાકમાં સરકાર ધોરાજીને નર્મદાનું શુદ્ધ પાણી નહિ આપે તો આમરણાંત ઉપવાસ કરવાની ધમકી આપી હતી. જો કે સરકાર તરફથી માગણી પૂરી કરવામાં ન આવતા લલિત વસોયા આમરણાંત ઉપવાસ પર બેસી રહ્યાં છે. લલિત વસોયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી આપવામાં ધ્યાન અપાતું નથી. મોટા શહેરોને પાણી આપવામાં આવે છે પણ ગામડાને આપતા નથી.