બોટાદના હામાપર ગામે પીવાનો પાણીનો વિકટ પ્રશ્ન તો બનાસકાંઠાના દિયોદમાં સિંચાઇના પાણી માટે ખેડૂતોનું આંદોલન
ગુજરાતમાં પાણીનો પોકાર
5 હજારની વસ્તી ધરાવતા હામાપર ગામના પાણી માટે વલખા
દિયોદરમાં ખેડૂતોએ પાણી છોડોના નારાઓ સાથે રેલી યોજી
ભરઉનાળે પાણીને લઇને કોઇ સમસ્યા ન સર્જાઇ તેને લઇને રાજ્ય સરકાર દ્વારા મસમોટા આયોજન કરાયા હોવાનો દાવો તો કરાઇ રહ્યો છે પરંતુ ધરાતલ પર કોઇ નક્કર આયોજન દેખાતુ નથી.બોટાદના હામાપર ગામની સ્થિતિ પણ કંઇક આવી જ છે.હામાપર ગામમાં આશરે 5 હજાર જેટલી વસતી છે.ભરઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે હામાપર ગામ છેલ્લા બે મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યું છે.હામાપર ગામે સરકારી યોજના મુજબ પાણીની પાઇપલાઇન તો પહોંચી ગઇ છે.પરંતુ આ પાઇપલાઇનમાં પાણી આવતુ નથી.પાણી માટે ગામની મહિલાઓ ભરઉનાળે ગામથી દૂર 5 કિમી સુધી જવા મજબૂર બની છે...પાણીની ગંભીર સમસ્યાને લઇને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નિવેડો લાવવામાં આવતો નથી.આખરે તંત્રની લાલિયાવાડીથી કંટાળીને સ્થાનિકો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
સાંભળો ગામ લોકોનું શું કહેવું છે?
નળ સે જળ યોજના અભરાઇ પર
રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે નળ શે જળ યોજના જેવી અનેક યોજનાઓ બહાર પાડે છે પરંતુ આજે પણ અનેક ગામડાઓના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે અને નળ શે જળ યોજના નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે .હાલ ઉનાળા નો ધોમ ધખતો તાપ અને હોઈ અને આવી ગરમી માં પાણી ભરવા માટે નાના બાળકો ,મહિલાઓ અને વુર્ધો ને બહાર જવું પડે તો કેવી હાલત થાય આવીજ પરિસ્થિતિ બોટાદ જિલ્લા ના હામાપર ગામ તેમજ અન્ય અંતરિયાળ ગામોની છે.
બનાસકાંઠામાં ખેડૂતો પાણી માટે રસ્તા પર..
તો બીજી તરફ ખેડૂતો પણ સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ચૂંટણીમાં મસમોટા વાયદાઓ તો થયા પણ વાસ્તવિકતા સાવ અલગ જ છે. પાલનપુર વડગામ બાદ હવે દિયોદરમાં ફરી એક વાર જળ આંદોલન થઇ રહ્યું છે. તેના માટે 40 ડિગ્રી થી વધુ તાપમાનમાં પણ ખેડૂતોએ પાણીના પોકાર સાથે રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.
પાણી નહી તો વોટ નહીના નારા ગુંજ્યા
પાણીના પ્રશ્નો મામલે બનાસકાંઠા ના દરેક તાલુકા મથકે બૂમરાળ ઉઠી છે. ખેડૂતો વારંવાર પાણી માટેની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. પાલનપુર વડગામ થરાદ બાદ આજે દિયોદરમાં ફરી એકવાર જળ આંદોલનની શરૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો એકત્ર થયા અને પાંચ કિલોમીટર સુધીની રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોએ એક જ માંગ કરી છે કે સરકાર ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડે. જો સરકાર ખેડૂતોની માગણી નહીં સ્વીકારે તો પાણી નહીં તો વોટ નહીં સૂત્ર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. જ્યારે આગામી સમયમાં તમામ રાજકીય આગેવાનોને ગામેગામ પ્રવેશ નિષેધ કરવામાં આવશે.