ગીર સોમનાથઃ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રાળુઓ માટે ખુશીના સમાચાર. દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે આવનારા લાખો યાત્રાળુઓ પીવાના પાણી સમસ્યાથી ભારે પીડિતા હતા. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પીવાનું પાણી મળતું હતું પરંતુ સોમનાથ મહાદેવ મંદિર બહાર અને ત્રિવેણી ઘાટ સુધી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દેશભરમાંથી આવી રહેલા યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
યાત્રાળુઓને પીવાના પાણી માટે દુકાન કે હોટેલથી ફરજીયાત ઊંચી કિંમત ચૂકવી પાણીની બોટલ ખરીદવી પડતી હતી. પરંતુ હવે સોમનાથ મહાદેવના દર્શને આવનારા યાત્રાળુઓ તરસ્યાં નહીં રહે કારણ કે સોમનાથ નજીક નિર્માણ પામેલા રામમંદિર પાસે પાણીનું એટીએમ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જે એટીએમમાં એક રૂપિયાનો સિક્કો નાખતા એક લીટર પાણી મેળવી શકાય છે અને તે પણ ઠંડુ-શુદ્ધ અને ક્ષાર મુક્ત પાણી મળશે. પાણીના એટીએમની સુવિધા શરૂ કરાતા આવનારા યાત્રીઓ ખુશખુશાલ બન્યા છે. ધોમ ધમખતા તાપ અને હીટવેવમાં શ્રદ્ધાળાઓ એક રૂપિયાનો સિક્કો નાખી પોતાની તરસ છુપાવી રહ્યાં છે.
સોમનાથ મહાદેવ મંદિર નજીક નિર્માણ પામેલા રામ મંદિર ખાતે ગુજરાત યાત્રા ધામ બોર્ડ દ્વારા વોટર એટીએમ ખુલ્લું મુકાયું છે. લાંબા સમયથી શ્રદ્ધાળાઓ પીવાના પાણીને લઇ માંગ કરી રહ્યા હતા. તેમની માંગ હતી કે સોમનાથ મંદિર બહાર પણ પીવાનું પાણીં મળી રહે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડને 10 જેટલા વોટર એટીએમ મુકવા માંગ કરી હતી. આખરે યાત્રાધામ બોર્ડ દ્વારા એક વોટર એટીએમ લગાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળાઓ માટે વધારે ખુશીના સમાચાર એ છે કે આગામી દિવસોમાં સોમનાથ આસપાસના વિસ્તારોમાં 10 જેટલા નવા વોટર એટીએમઓ ખુલા મુકાશે. જેના આકારને સોમનાથ આવનારા દરેક શ્રદ્ધાળુઓને આસાનીથી અને માત્ર એક રૂપિયામાં ઠંડુ એક લીટર પાણી મળી રહેશે.