ભાવનગરઃ કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે વિસ્તારમાં ઘણાં દિવસોથી પીવાનું પાણી આવતું નથી. પીવાના પાણીની સાથે ગટરના પાણીની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે. અવાર નવાર આ અંગે રજુઆત કરતા તંત્ર દ્વારા કોઈ પગલા ન લોવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકો રસ્તા ઉપર આવવીને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ પીવીના પાણી અને ગટરનું દુષિત પાણીની સમસ્યાને હલ કરવાની માગ કરી હતી.
ભાવનગર શહેરના પછાત વિસ્તાર તરીકે ઓળખાતા કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 1 માસથી પાણી અનિયમિત મળતું હતું. જ્યારે પણ પાણી આપવામાં આવે છે તે પણ પ્રદુષિત પાણી હોઇ છે. આવી સમસ્યાનો સામનો કરી રહેલા લોકો આજે આખરે કંટાળીને રોડ ઉપર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો હતો. જો કે અહીં લોકોના પ્રશ્નો સાંભળવા એક પણ અધિકારી ફરક્યા ના હતા તેથી લોકોમાં રોષ બેવડાયો હતો.
ભાવનગરના પછાત વિસ્તારોમાં આમતો પાણીની સમસ્યા વિકટ છે. તેમાં પણ હમણાં આ વિસ્તારમાં ડ્રેનેજની લાઈન સાથે પીવાના પાણીની લાઈન ભળી ગઈ હતી. જેને લઇને લોકોને પ્રદુષિત પાણી આપવામાં આવે છે. કુંભારવાડા વિસ્તારમાં નબળા અને માધ્યમ વર્ગના લોકો રહે છે. મોટાભાગના લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં છેલ્લા 1 માસથી પણ અનિયમિત અને પ્રદુષિત આપવામાં આવે છે. અહીં ગટરની લાઈન પાણીની લાઈન સાથે ભળી ગઈ હોવાની મનપામાં અવારનવાર રજુઆત કરવા છતાં તંત્રએ કોઈ પગલાં ભર્યા નથી. આજે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો ગંદા પાણીની બોટલ સાથે રોડ ઉપર ઉતરી આવી હતી. 1 કલાક સુધી રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો.
મનપાના વોટર વર્કસના અધિકારીઓનું કહેવું છે કે ફરિયાદતો આવી છે અને તેનું તાકીદે નિરાકરણ લાવવવામાં આવશે. એક તરફ ઉનાળાના દિવસો છે અને પાણી તંગી લોકો અનુભવી રહ્યાં છે. ત્યારે પછાત વિસ્તારમાં અપાતા અશુદ્ધ પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે મનપા આ વિસ્તારનો પ્રશ્ન તાકીદે ઉકેલે તે જરૂરી છે.