ઉનાળાની ગરમીમાં લોકોના હાલ બેહાલ છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વયારલ થયો છે. આ વીડિયોનો દાવો છે કે ફ્રિજનું ઠંડુ પાણી શરીરને ખુબ જ નુકસાન પહોંચાડે છે અનેક બીમારીનું કારણ બને છે.ત્યારે શું છે આ વીડિયોની હકીકત તે બાબતે અમારી ટિમ દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અત્યાધુનિક યુગમાં માનવીએ અનેક ખોજ કરીને ભૌતિક સુખ માણવાનો પ્રયાસ કર્યો. તો બીજીબાજુ પોતાની આ સુવિધા સાથે મુશ્કેલીઓ પણ વધારી છે. કંઈક આવીજ ખોજ ફ્રિજના ઠંડા પાણીની છે. જે શરીરને ઠંડક તો આપે છે પરંતુ શરીરને અંદરથી બીમાર બનાવે છે. આ દાવો કરવામાં આવ્યો છે વાયરલ થઈ રહેલા વીડિયોમાં. જેમાં એક ધાર્મિક સત્સંગ કાર્યક્રમનો આ વીડિયો છે જેમાં ફ્રિજના ઠંડા પાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે એક નજર કરીએ આ વીડિયો પર તો વાયરલ વીડિયોમાં એક સત્સંગ કાર્યક્રમ દરમિયાન ઠંડા પાણીને ટાળવાનું કહેવામાં આવે છે.તો આ સાથે અનેક બીમારીનું કારણ ઠંડુ પાણી હોવાનું પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા આ વીડિયોની અમે તપાસ હાથ ધરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું વાસ્તવમાં ઠંડુ પાણી પીવાથી શરીર અનેક બીમારીઓનું ઘર બની જાય છે? તપાસ એટલા માટે જરૂરી હતું કારણકે ઘણા લોકો તો આ વીડિયો જોઈને એટલા ગંભીર બનતા નહીં હોય.પરંતુ ઘણા એવા હશે કે જેમને દરરોજ ઓફિસ કે સ્કૂલમાં ઠંડુ ફ્રિજનું પાણી પીવાનું હોય છે. ત્યારે શું એ લોકો પોતાની હોજરી પર અત્યાચાર કરી રહ્યા છે?આ બાબતે અમે તપાસ હાથ ધરી..
વાયરલ થઈ રહેલા આ વીડિયોની તપાસમાં અમારા સંવાદાદાતાએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટેટ સેક્રેટરી ડોક્ટર કમલેશ સાઈની સાથે મુલાકાત કરી હતી અને તેમને વાયરલ વીડિયો બતાવવામાં આવ્યો હતો.જે બાદ ડોક્ટરે ઠંડા પાણી મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઠંડુ પાણી પીવું જોખમી સાબિત થઈ શકે છે.પરંતુ ઠંડુ પાણી મોટી બીમારીનું પણ કારણ બની શકે એ વાત ડોક્ટરે સ્વીકારી નથી.
આમ વાયરલ થઈ રહેલા વીડિયોની તપાસમાં સામે આવ્યું કે ઠંડુ પાણી પીવું શરીર માટે હાનિકારક છે.પરંતુ વીડિયોમાં જે ગંભીર બીમારી વિશે વાત કરવામાં આવી છે તેનાથી ડોક્ટર સંમત નથી.ડોક્ટરનું માનવું છે કે અમુક બીમારીઓ માટે બીજા પણ કારણો હોય છે. જેમકે પેનક્રિઆઝ માટે ઠંડુ પાણી જવાબદાર ગણવામાં આવે છે તે વાત પણ ડોક્ટરે સ્વીકારી નથી.
આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વીડિયો અડધો સાચો સાબિત થયો છે.ગરમીમાં કે કોઈપણ ઋતુમાં ઠંડુ પાણી પીવું જોખમી સાબિત થઈ શકે છે.જેનાથી હોજરીનું તાપમાન સતત ઘટાડતા રહેવાથી પાચનની પ્રક્રિયામાં પણ નુકસાન થઈ શકે છે.પરંતુ ખુબજ ગંભીર પ્રકારની બીમારી માટે ઠંડુ પાણી જવાબદાર હોય તે વાતથી ડોક્ટર સંમત નથી.