ઓડિશાના રાયગડા જિલ્લામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 71 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ઓડિશામાં દૂષિત પાણી પીવાથી અસંખ્ય લોકો બિમાર પડ્યા
ખુલ્લા સ્ત્રોતમાંથી પાણી પીતા 6 લોકોના મોત
કેટલાય લોકોને અલગ અલગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા
ઓડિશાના રાયગડા જિલ્લામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 71 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ડાયરિયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, દૂષિત પાણી પીવાથી લોકોને ઝાડા અને ઉલ્ટી થવા લાગી હતી. આ મામલે નવીન પટનાયક સરકારે અધિકારીઓ પાસેથી રિપોર્ટ માગ્યો છે. આ બાજૂ ઘટનાને લઈને વિધાનસભામાં ભારે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. કોંગ્રેસે મુખ્યમંત્રી નવીન પટનાયકને આ મુદ્દે માફી માગવાનું કહ્યું છે.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, છેલ્લા 3 દિવસમાં કાશીપુર બ્લોકમાં અલગ અલગ ગામોમાં મોતની સૂચના મળી રહી છે. તેમણે કહ્યું કે, 11 ડોક્ટરની એક ટીમે પ્રભાવિત ગામની મુલાકાત લીધી. આ દરમિયાન પીવાના પાણી અને બિમાર દર્દીઓના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું છે કે, પાણીથી થનારી બિમારી પહેલા મલીગુડા ગામમાં અને ત્યાર બાદ દુદુકાબહલ, ટિકીરી, ગોબરીઘાટી, રૌતઘાટી અને જલાખુરા ગામમાં ફેલાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, ડાંગસિલ રેંમગા, હાડીગુડા, મૈકાંચ, સંકરદા અને કુચિપદરા ગામમાં કેટલાય અન્ય લોકોને ઝાડાથી પીડિત અને ઘર પર તેમની સારવાર ચાલી રહી છે.
અલગ અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
ખુલ્લા સ્ત્રોતમાં પાણી પીવાથી બિમાર થયેલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાં 71 માંથી 46 લોકોની સારવાર ટિકિરી સાર્વજનિક હેલ્થ સેન્ટરમાં, 14 કાશીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને 11 છોકરીઓને થાતીબાર પીએચસીની એક આશ્રમ શાળામાં સારવાર ચાલી રહી છે.